ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
વિશ્વગુરુ ભારતના અતિ ભવ્ય પ્રાચીનકાળને જાણવો એ પણ નસીબદાર હોવાની અનુભૂતિ છે.એમાંય જયારે ‘ વિદ્યા’ ની વાત આવે એટલે તો ભવોભવ સુધરવાની ચાવી હાથ લાગ્યાનો ભાવ પેદા થાય..કદાચ સરળ ભાષામાં કહેવું હોય તો ભારતીય સંસ્કૃતિ અનુસાર તો પુરુષમાંથી પુરુષોત્તમ બનવાની દિશામાં યાત્રા. કાળક્રમે ‘ વિદ્યા’ શબ્દનો અતિશય અર્થ સંકોચ થયો છે. હવે વિદ્યા શાળા-કોલેજના વર્ગ સુધી અને ‘ચાટણ માટે ચોપડી ‘માં મર્યાદિત થઇ ગઈ. બાકી તો જવલ્લે જ વિદ્વાન જનો કે સંતોની વચ્ચે વિદ્યા વિષયક ગહન ચર્ચા માણવા મળે.છે.અલબત્ત તેવા સમયે પણ મૂળ પ્રાચીન વિદ્યા વિષે વાત સાંભળવી એ પણ અહોભાગ્ય ગણીએ અને ગૌરવ પેદા કરીએ.
વિષ્ણુપુરાણની ખુબ પ્રચલિત સૂક્તિ ‘સા વિદ્યા યા મુક્તિ’ જ વિદ્યાનો હેતુ પ્રદર્શિત કરે છે.મુક્તિ શબ્દ ખુબ વિશાળ અર્થમાં છે.ભિન્ન ભિન્ન વિદ્વાનો વિદ્યાના ભિન્ન ઉત્તમ અર્થો કરે છે.સરળ તારણમાં કહેવું હોય ઉત્તમોત્તમ સુધી પહોંચવાની નિષ્ઠાપૂર્વકની કશુંક પ્રાપ્ત કરવાની સતત ભૂખ.એટલે વિદ્યા.
વિદ્યા કેટલી ? કેટલા પ્રકારની ? આ તો અવિરત અને આજીવન ચાલનારી પ્રક્રિયા છે.અનેક દૃષ્ટિકોણથી વિદ્યાના પ્રકાર બતાવાયા છે. ભારતીય ચિંતનમાં ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે વિદ્યાઓના પ્રકાર વિવિધ રીતે દર્શાવ્યા છે. વિષ્ણુપુરાણ વેદાંગ,વેદ,મીમાંસા, ન્યાયશાસ્ત્ર વગેરે મળીને 18 વિદ્યા બતાવે છે તો ‘લોકનીતિ ‘ ગ્રન્થ અનુસાર શ્રુતિ,સ્મૃતિ ,સાંખ્ય ,યોગ,નીતિ,સંગીત,ગણિત ચિકિત્સા વગેરે ગણીને કુલ 18 વિદ્યા ગણાવે છે. કેટલાક વિદ્વાન ચિંતકો વિદ્યાને ચાર ભાગમાં વહેંચે છે. શ્રી યોગેશ્વરજી પોતાના પુસ્તક ‘ઉપનિષદ અમૃત ‘માં મુંડક ઉપનિષદના શૌનક અને ઋષિ અંગિરાના સંવાદનો સંદર્ભ ટાંકીને વિદ્યાના મૂળ બે પ્રકાર જણાવે છે. ‘द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद् ब्रह्मविदो वदन्ति परा चैवापरा।’ પરા વિદ્યા અને અપરા વિદ્યા .ઋગ્વેદ ,યજુર્વેદ ,સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદ અને શિક્ષા,કલ્પ ,વ્યાકરણ ,નિરુક્ત ,છંદ અને જ્યોતિષ એમ છ વેદાંગ છે.આને અપરા વિદ્યા કહે છે.બીજી વિદ્યા તે પરા વિદ્યા. જેનાથી અવિનાશી પરમાત્માનું જ્ઞાન કે પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.સરળ ભાષામાં કહેવું હોય તો શાસ્ત્રવિદ્યા તે અપરા વિદ્યા અને અનુભવ વિદ્યા તે પરા વિદ્યા . .
આમ તો ઉપનિષદોનું મૂળ લક્ષ્ય બ્રહ્મવિદ્યાનું છે.પરા વિદ્યા અને અપરાવિદ્યાના વિશ્લેષણથી તે સમજાવવાનો યોગ થયેલો છે. પ્રત્યેક ઉપનિષદમાં શીખવા-શીખવવાની તીવ્રત્તમ ઝંખનાવાળા ગુરુ-શિષ્યનો ભંડાર છે.એટલે જ ઉપનિષદોમાં વિદ્યાઓનો વિવિધતા સભર વૈભવ ભર્યો છે.આમ છતાં મહદઅંશે વિદ્વાનો મુખ્ય 32 વિદ્યાઓ તારવે છે.એમાંય ક્યાંક નામરૂપ જુદાં તરી આવે છે.
‘ સહુ પ્રથમ સત્ય જ હતું ને પછી બધું ક્રમશઃ ઉત્પન્ન થયું’. तस्मादसतः सज्जायत ॥ (છાંદોગ્ય) પિતા આરુણિ પુત્ર શ્વેતકેતુને સૃષ્ટિની ઉત્પત્તિની વાત-. સદ્વિદ્યા રૂપે સમજાવી.. પરબ્રહ્મ કલ્યાણ ગુણકારક વૈભવ સંપન્ન આનંદમય છે. स एको ब्रह्मण आनन्दः । તૈત્તરીય ઉપનિષદના બ્રહમાનંદવલ્લીમાંની શ્રેષ્ઠત્તમ આનંદની પ્રાપ્તિની વિદ્યા આનંદવિદ્યા બતાવી છે પૃથ્વીથી માંડીને આદિત્ય અને અંતરિક્ષ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते (છાંદોગ્ય) એમ આ અંતરાદિત્યઃ વિદ્યા પ્રતિપાદ કરે છે. ‘લોકોનો આશ્રય શું ? ‘ તેવા શિલકના પ્રશ્નના ઉત્તરમાં પ્રવાહણએ જણાવ્યું. આકાશવિદ્યા સમજાવી ‘સૂર્યની મધ્યમાં તે સ્વર્ણિમ સ્વરૂપે પ્રગટ છે આકાશ જ.કારણકે બધાં જ પ્રાણી અને તત્ત્વો આકાશથી જ ઉત્પન્ન થાય છે અને એમાં જ પ્રલયને પાત્ર છે.તેથી આકાશ જ સૌથી મોટું છે.’- आकाशं प्रत्यस्तं यन्त्याकाशो ह्येवैभ्यो ज्यायानकाशः (છાંદોગ્ય )
છાંદોગ્ય ઉપનિષદમાં યજમાન રાજાના પ્રશ્નના ઉત્તરમાં ઋષિ ઉપસ્તિએ પ્રાણવિદ્યા સમજાવતાં જણાવ્યું કે, ‘એ દેવતા પ્રાણ છે.પ્રલયકાળમા અને ઉત્પત્તિ સમયે પણ દરેક પ્રાણી પ્રાણમાં જ પ્રવેશી જાય છે.આ પ્રાણ જ સ્તુત્ય દેવ છે.’. प्राण इति होवाच सर्वाणि ह वा इमानि भूतानि | ગાયત્રી જ્યોતિર વિદ્યામાં वाग्वा इदꣳ सर्वं भूतं गायति
च त्रायते च ॥ (છાંદોગ્ય) ‘ જે કઈ જગતમાં પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે ગાયત્રી જ છે.વાણી રૂપ થઇ ગાન કરે છે. પ્રાણ રૂપ પણ ગાયત્રી જ છે. મહર્ષિ શાંડિલ્ય કહે છે सर्वकर्मा सर्वकामः सर्वगन्धःसर्वरसःसर्वमिदमभ्यात्तोऽवाक्यनादर एष म आत्मान्तर्हृदय | (છાંદોગ્ય) .જે સંપૂર્ણ જગતના રચયિતા છે.સંપૂર્ણ ગંધ અને રસથી પરિપૂર્ણ ,સર્વત્ર સમવ્યાપ્ત છે.એ આત્મા હૃદયગુફામા રહે છે’ એ શાંડિલ્ય વિદ્યા તરીકે ઓળખાય છે.
ब्रह्मप्राप्तो विरजोऽभूद्विमृत्यु- रन्योऽप्येवं यो विदध्यात्ममेव ॥ ( કઠોપનિષદ) આત્મજ્ઞાનની તીવ્રત્તમ જિજ્ઞાસવાળા નચિકેતા, યમરાજા દ્વારા આ નચિકેતસ વિદ્યા પ્રાપ્ત કરીને સમસ્ત વિકારરહિત શુદ્ધ થઇ જન્મ -મૃત્યુ બંધનમાંથી મુક્ત થયા. આચાર્ય સત્યકામ જાબાલાને વિનંતી કરી. આખરે તેમના સાનિધ્યમાં કઠોર તપસ્યા છતાં પ્રત્યુત્તર ન મળતા છેવટે ઉપકૌશલે અગ્નિઓને વિનંતી કરી આખરે તેમણે વિદ્યા.આપી य एतमेवं विद्वानुपास्ते ॥ (છાંદોગ્ય) તે ઉપકૌશલ વિદ્યા. આરુણિ -ઉદ્દાલકએ મહર્ષિ યાજ્ઞવલ્કયને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં અંતર્યામી વિદ્યા સમજાવતાં કહ્યુ કે,’પૃથ્વી,જળ અગ્નિ,અંતરિક્ષ ,વાયુ,દ્યુલોક આદિત્ય,દિશાઓ,વગેરેમાં સર્વેમાં તો અંતર્યામી છે જ..તમારો આત્મા જ અંતર્યામી અને અવિનાશી છે.’ . त आत्माऽन्तर्याम्यमृतोऽतोऽन्यदार्तं (બૃહદારણ્યક)
વિદુષી ગાર્ગીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ યાજ્ઞવલ્કયએ અક્ષર વિદ્યા સમજાવતાં કહ્યું કે,’એ તત્ત્વને બ્રહ્મવેત્તા ‘અક્ષર ‘કહે છે.એ ન તો સ્થૂળ છે,ન સૂક્ષ્મ છે, ન નાનો, ન લાંબો, ન તો સ્નેહીલ .છે..હે ગાર્ગી,આ અક્ષર જ બ્રહ્મમાં જ આકાશ તત્ત્વમાં ઓતપ્રોત છે. अनन्तरमबाह्यं न तदश्नाति किं चन न तदश्नाति कश्चन ॥ (બૃહદારણ્યક) રાજા અશ્વપતિએ ઓપમન્યવન રાજા ક્યાં આત્માની ઉપાસના કરે છે”‘ – તેના ઉત્તર રૂપે ઋષિકુમાર પ્રાચીનશાલે ‘વૈશ્વાનર વિદ્યા સ્વરૂપે સમજાવ્યુ કે ‘આપ જે આત્માની ઉપાસના કરો છો તે ‘સુતેજા ‘ નામક શ્રેષ્ઠ વૈશ્વાનર છે.’ तस्मात्तव सुतं प्रसुतमासुतं कुले(છાંદોગ્ય) दृश्यते ॥
શ્રેષ્ઠતાનું મૂલ્ય જાણવા નારદજીએ સનતકુમારોને પ્રશ્ન કર્યો કે,’ આકાશથી પણ કઈ શ્રેષ્ઠ છે ?’ ઉત્તરમાં સનતકુમારોએ ભુમાવિદ્યા સમજાવતાં જણાવ્યું,’ હા છે, જ્યાં બીજું કઈ દેખાતું ન હોય,સંભળાતું ન હોય અને જ્યાં બીજું કોઈ જંતુ જ ન હોય તે ભુમા છે.એ જ અમૃત છે.’ तदल्पं यो वै भूमा तदमृतमथ यदल्पं तन्मर्त्य्ꣳ स भगवः(છાંદોગ્ય). ‘ બ્રહ્મપુર ( શરીર ) ના અંતઃક્ષેત્રમાં જે કમળપુષ્પ ( દહર) ક્ષેત્ર છે એન અંતર્ગત જે અત્યંત સૂક્ષ્મ આકાશ છે એના અન્તઃક્ષેત્રમાં જે તત્ત્વ વિદ્યમાન છે એની શોધ કરી મેં શ્રેષ્ઠત્તમને જાણવાની ઈચ્છા કરવી જોઈએ.’ તેવું આચાર્યે જણાવતાં જ શિષ્યોએ તેની ઉત્કંઠા બતાવી અને આચાર્યએ ‘ દહર વિદ્યા ‘ સમજાવતાં કહ્યું કે ત્યાં તો પૃથ્વી અને દ્યુલોક બંને સમાયેલાં છે.અગ્નિ,વાયુ,સૂર્ય,ચંદ્ર, વિદ્યુત નક્ષત્ર એ બધું પણ પૂર્ણપણે એમાં સમાયેલું છે. अथ यदिदमस्मिन्ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तराकाशस्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं
तद्वाव विजिज्ञासितव्यमिति ॥ (છાંદોગ્ય)
શરીરમાં આત્મા ક્યાં છે ને કેવી ગતિ કરે છે તે સમજાવતાં યમરાજા નચિકેતને અંગુષ્ઠવિદ્યા કહે છે ,’ બધાનો આત્મા અંગુઠાના માપવાળો છે. જે પરમ પુરુષ ( પરબ્રહ્મ) ના રૂપમાં હંમેશા બધાના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा ( કઠોપનિષદ) જ્યાં દેવોની ઝંખના પણ વધારે છે તે અમૃતતુલ્ય મધુવિદ્યાને આ
રીતે સમજાવી છે,’આ આદિત્ય જ દેવોનું મધ છે. દ્યુલોકમાં એ ત્રાંસો વાંસ છે.જેની ઉપર મધપૂડો લટકે છે. અંતરિક્ષ છત્રી છે. અને કિરણો મધમાખીઓના બચ્ચા સમાન છે.’ असौ वा आदित्यो देवमधु तस्य द्यौरेव ( છાંદોગ્ય)
આ વાયુ સંવર્ગ છે જયારે અગ્નિ ઓલવાય ત્યારે તે વાયુમાં લીન થઇ જાય છે. એમ છાંદોગ્ય ઉપનિષદમાં રૈક્વ, રાજા જનશ્રુતિને સંવર્ગ વિદ્યા બતાવે છે. वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति| ( છાંદોગ્ય) ગાર્ગ્ય બાલાકી ને રાજા અજાતશત્રુએ કરોળિયાની પોતાના જ તંતુ દ્વારા ઉર્ધ્વગમનના દૃષ્ટાંત થકી સમજાવ્યું. स यथोर्णभिस्तन्तुनोच्चरेद् ( છાંદોગ્ય) ‘ આ આત્મા દ્વારા જ બધા પ્રાણ,બધા લોક,બધા દેવતાઓ અને સમસ્ત ભૂત ઉત્પન્ન થાય છે.’ જેને વિદ્વાનો બાલાકી વિદ્યા તરીકે જાણે છે. વૈદિકકાળમાં ઉત્તમોત્તમ વિદ્વાન ગણાતાં દંપતીના ધર્મપત્ની મૈત્રેયીએ પોતે અમરત્વ પ્રાપ્ત કરવાની વિદ્યાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ વિસ્તૃતપણે ઉપદેશ પ્રદાન કર્યો. તે એટલે મૈત્રેયી વિદ્યા सती प्रियं भाषस एह्यास्स्व व्याख्यास्यामि ते (બૃહદારણ્યક)
આરુણિ પુત્ર શ્વેતકેતુને પંચાલ નરેશ રાજાએ પંચાગ્નિ વિષે પાંચ પ્રશ્ન કર્યા.ઉત્તરથી અજ્ઞાત શ્વેતકેતુએ ઘેર જઈ, પિતાને વાત કરી.પછી બંને ફરી પંચાલ નરેશ પાસે આવ્યા અને અત્યાર સુધી માત્ર ક્ષત્રિયનો જાણવાનો અધિકાર હતો તે પંચાગ્નિ વિદ્યા અને તેથી મળતી સિદ્ધિઓ જાણી.. आपूर्यमाणपक्षमापूर्यमाणपक्षाद्यान्षडुदङ्ङेति( છાંદોગ્ય) ‘જીવાત્માથી ઈશ્વરની અવ્યક્ત શક્તિ શ્રેષ્ઠ છે.એ શક્તિથી પરમપુરુષ શ્રેષ્ઠ છે.એ પરમપુરુષથી બીજું કશું શ્રેષ્ઠ નથી.એ બધાની પરાકાષ્ઠા અને પરમ ગતિ છે.’ એ રીતે યમરાજા નચિકેતાને પરમપુરુષ વિદ્યાના વિશેષ ગુણો વર્ણવે છે. महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः । ( કઠોપનિષદ)
ઈશાવાસ્ય ઉપનિષદમાં ‘ઈશાવાસ્ય વિદ્યા’ ના માધ્યમથી વિશ્વ નિયંતાને ઉત્તમ જીવન માટે વિનવણી છે. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्, ’હે અગ્ને પ્રભુ , આપ અમને શ્રેષ્ઠ માર્ગેથી ઐશ્વર્ય તરફ લઇ જાવ.હે વિશ્વના અધિષ્ઠાતા આપ કર્મ માર્ગના જ્ઞાતા છો.અમોને કુટિલ પાપોથી બચાવો.અમે પુનઃ પુનઃઆપણે વીનવીએ છીએ’
. ઉપનિષદ અનુસાર કેટલાક વિદ્વાનો-ચિંતકો, પરબ્રહ્મને પામવા ઓળખવા માટે અન્ય નામોથી પણ વિદ્યાઓએ સંબોધે છે જેવીક ઇન્દ્ર પ્રાણ વિદ્યા, ગાર્ગ્ય।ક્ષર વિદ્યા,.દેવોપાસ્ય જ્યોતિર્વિદ્યા ,.અજાશરીરક વિદ્યા,..દ્રુહીન રુદ્રાદિ શરીરક વિદ્યા,.આદિત્ય સ્થાહન નામક વિદ્યા, અક્ષિષ્ઠાહન્નામાક વિદ્યા ,ઉપષ્ટી કહોલ વિદ્યા, વ્યાહુતિ શારીરક વિદ્યા વગેરે. વિદ્યાની નામથી ઓળખ તો તેના ગુરુ કે શિષ્યના કે પછી તે વિદ્યાની વિશેષતાના આધારે છે.વસ્તુતઃ તો કશુંક વિશેષ પ્રાપ્ત તે વિદ્યા.પ્રત્યેક ઉપનિષદના પ્રત્યેક સંવાદે વિદ્યા જ વિદ્યા મેઘધનુષની જેમ શોભાયમાન છે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
