પૂછ એને કે જે શતાયુ છે;
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.
શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજુ શું સવાયું છે.
આંખમાં કીકી જેમ તું સાચવ,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.
સત્યને કોણ ધારે એ જોયા કર,
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે.
આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે.
કોઈનું ક્યાં થયું કે તારું થાય,
આ શાહીનું ટીપું તો પરાયું છે.
તારે માટે ગઝલ મનોરંજન,
મારે માટે તો પ્રાણવાયુ છે.
– મનોજ ખંડેરિયા
