ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

           માણસ માત્રની જીવનની બધી જ ક્રિયાઓમાં મનની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની હોય છે.મન જેટલું સ્વસ્થ એટલી સિદ્ધિ સફળતા વધારે. મન-ચિત્તને કોઈપણ પ્રક્રિયામાં સ્વસ્થ રીતે જોડવું એ પ્રાથમિક બાબત છે. પછી તે અભ્યાસ-શિક્ષણ હોય કે અન્ય કાર્ય. જગત આખું મન-ચિત્તને એકાગ્ર, સ્થિર કરવા માટેના ઉપાય શોધવામાં દોડ્યા કરે છે.પણ ભારતીય સંસ્કૃતિ પાસે તો તેઓ ઉકેલ આદિકાળથી છે. ૐ કાર જ એ માટે તો ઉત્તમ મંત્ર છે.

સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદનો પ્રથમ મંત્ર જ ૐ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઇ ત્યારથી ૐ કાર ઉદભવ્યો છે ,એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહિ કહેવાય. થોડાં વર્ષ અગાઉ અમેરિકાની વિશ્વમાન્ય અવકાશ સંશોધન સંસ્થા નાસા એ પ્રયોગોના આધારે સાબિત કર્યું અને જાહેર કર્યું કે સૂર્યના ગોળામાંથી જે ધ્વનિ પ્રાપ્ત થાય છે તે ૐ કાર જ છે.સામાન્ય વ્યક્તિ પણ એક ઊંડો શ્વાસ ભરીને ૐ કાર બોલે તો તેની સીધી અસર તેની મનની સકારાત્મક સ્થિતિ પર પડે. ૐ કાર ,મોટાભાગના ભારતીય ધર્મ,સંપ્રદાયને સ્વીકાર્ય છે  અનેક મંત્ર,શ્લોકનો પ્રારંભ ૐ થી શરૂ થાય છે

ઉપનિષદોમાં પણ ૐ કાર ને વિશેષ પ્રાધાન્ય હોય તે સ્વાભાવિક જ છે કારણકે  વિદ્યા-શિક્ષણ પ્રાપ્તિનો  પ્રારંભ જ ચિત્ત એકાગ્રતાથી થાય.પ્રત્યેક ઉપનિષદનો શાંતિપાઠ ૐ કારથી શરૂ થાય છે. વિશેષ કરીને ‘પ્રણવોપનિષદ,’ મુણ્ડકોપનિષદે’  ૐ કારના વિશેષ ગુણ કહ્યા છે. અન્યમાં પણ ૐ કાર ની અનેક ફલશ્રુતિઓ તો છે જ.

પ્રણવોપનિષદના ભાષ્યનો પ્રારંભ કરતી વેળા પૂજ્ય રામશર્માજી કહે છે કે,’ આ ઉપનિષદમાં પરબ્રહ્મની અક્ષર અભિવ્યક્તિ એટલે જ ૐ ‘. પ્રારંભે જ ઉપનિષદ કહે છે ओमित्येकाक्षरं ब्रह्म यदुक्तं ब्रह्मवादिभिः ।

शरीरं तस्य वक्ष्यामि स्थानकालत्रयं तथा ॥ ‘ બ્રહ્મવેત્તાઓએ ૐ કાર ને જ એક અદ્વિતીય ,અવિનાશી,બ્રહ્મ કહેલ છે એના શરીર,સ્થાન અને કાળત્રયનું વિવેચન હવે કરવામાં આવે છે.’ મજાની વાત તો એ છે કે સમગ્ર સુષ્ટિમાં ત્રિવિધ સ્વરૂપો દેખાય છે .પ્રકૃતિના ત્રણ છે-સત્વ, રજ અને તમ, ત્રણ લોક-ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ.,ત્રણ અવસ્થાઓ-જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણ રૂપ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ., ત્રણ જાતનાં શરીર-સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો-વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત.

એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે, તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ – ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે,અને એ વાતને પ્રણવોપનિષદ મંત્રોથી સમર્થન આપે છે. तत्र देवास्त्रयः प्रोक्ता लोका वेदास्त्रयोऽग्नयः ।  तिस्रो मात्रार्धमात्रा च प्रत्यक्षस्य शिवस्य तत् ॥ ‘ એ ૐ કાર રૂપમાં ત્રણ દેવતાઓ,ત્રણ લોક ત્રણ વેદ, ત્રણ અગ્નિ ,ત્રણ પૂર્ણ માત્રા અને એક અર્ધ માત્રા સમાયેલ છે.એ જ એનું સાક્ષાત કલ્યાણકારી .શિવ  સ્વરૂપ છે ‘  અ કાર’ માં ઋગ્વેદ ,પૃથ્વી,ગાર્ધ્ય પત્ય અગ્નિ ,દેવ બ્રહ્મા ,સમાયેલા છે ‘ ऋग्वेदो गार्हपत्यं च पृथिवी ब्रह्म एव च । તો ‘ ઉકાર ‘ માં યજુર્વેદ ,અંતરિક્ષ ,દક્ષિણાગ્નિ અને ભગવાન વિષ્ણુ નિરૂપિત છે. यजुर्वेदोऽन्तरिक्षं च दक्षिणाग्निस्तथैव च । विष्णुश्च भगवान् देव उकारः परिकीर्तितः ॥  અને ‘મ કાર’ માં સામવેદ, દ્યુલોક ,આહવનીય અગ્નિ અને મહાદેવ નિરૂપિત છે.’ सामवेदस्तथा द्यौश्चाहवनीयस्तथैव च । ईश्वरः परमो देवो मकारः परिकीर्तितः ॥

 

ૐ કારની સર્વવ્યાપકતા અહીં પુરી નથી થતી.પ્રકાશના પુંજ એવા સૂર્ય,ચંદ્ર અને અગ્નિમાં પણ તે નિરૂપિત છે.’ અ કાર ‘ માં સમગ્ર સૂર્ય મંડળ, सूर्यमण्डलमाभाति ह्यकारश्चन्द्रमध्यगः । ‘ઉકાર ‘માં ચંદ્રમંડળ છે..उकारश्चन्द्रसङ्काशस्तस्य मध्ये व्यवस्थितः ॥ ‘ મ કાર ‘ માં ધુમાડારહિત વિદ્યુત સમાન અગ્નિ સમાયેલા છે. मकारश्चाग्निसङ्काशो विधूमो विद्युतोपमः । મંત્રમાં ત્રણેય માત્રામાં પ્રભાવિત ૐ કારના તેજસ સ્વરૂપની વિભાવનાએ ફરી યાદ અપાવે છે. तिस्रो मात्रास्तथा ज्ञेयाः सोमसूर्याग्नितेजसः ॥ તેજ અગ્નિમાં દીપશિખાનું વિશેષ મહત્ત્વ હોય કારણકે તે તેની પ્રજ્જવલિતપણાની સાક્ષી છે.ૐ કારમાં ઉપર આવેલી અર્ધ ચંદ્ર માત્રા એ દીપશાખા છે .જે ઉર્ધ્વગામી થવાનો શુભસંકેત આપે છે.शिखा च दीपसङ्काशा यस्मिन्नु परिवर्तते । अर्धमात्रा तथा ज्ञेया प्रणवस्योपरि स्थिता ॥

જો યોગ્ય ઉચ્ચારણથી ૐ કાર થાય તો તે કેટલો પ્રભાવી છે તે હવે પ્રણવોપનિષદના આગળના મંત્રમાં કહ્યું છે.  આ શિખાનું મહત્ત્વ દર્શાવતાં કહે છે કે,’ કમળસૂત્ર સમાન સૂક્ષ્મ શિખાની કાંતિ મસ્તકમાં દૃષ્ટિગોચર થાય છે ને નાસિકા દ્વારા સૂર્યવંત તેજ ધારણ કરીને સૂર્યમંડકનું ભેદન કરીને ત્યાં રહે છે. सूर्यं हित्वा तथापरम् ॥ અને એથી પણ આગળ द्विसप्ततिसहस्राणि नाडिभिस्त्वा तु मूर्धनि । वरदं सर्वभूतानां सर्वं व्याप्यैव तिष्ठति ॥ અગ્નિ સ્વરૂપમાં એ  શિખા 72000 નાડીઓ દ્વારા સંપૂર્ણ પ્રાણીઓને વર ( જીવન-પ્રાણ) આપનારી અને બધાને વ્યાપ્તને  રહેલી છે.ૐ કાર મંત્રની સાધનાના પ્રભાવને વર્ણવતાં કહે છેs,’ જયારે મુમુક્ષ, મોક્ષ પ્રાપ્તિની નજીક શાંત સ્થિતિને મેળવી લે છે. તેને કાંસાના ઘંટ સમાન ધ્વનિ સંભળાય છે. આ ૐ કાર નું સ્વરૂપ છે.આ સ્વરૂપને દરેક સાધક સાંભળવાની ઈચ્છા રાખે છે. कांस्यधण्टानिनादः स्याद्यदा लिप्यति शान्तये । ओङ्कारस्तु तथा योज्यः श्रुतये सर्वमिच्छति ॥

પ્રણવોપનિષદના અંતિમ મંત્રમાં શ્રેષ્ઠ ફળનું વર્ણન કરે છે.यस्मिन् स लीयते शब्दस्तत्परं ब्रह्म गीयते ।सोऽमृतत्वाय कल्पते सोऽमृतत्वाय कल्पते ॥ ‘ જે સાધક ૐ કાર સ્વરૂપમાં લીન બની જાય છે એ બ્રહ્મ સ્વરૂપ જ કહેવામાં આવે છે.એ જ અમૃતત્વને મેળવી લે છે, એ નિશ્ચિત્ત છે.

मुण्डकोपनिषद् અનુસાર,બ્રહ્મ પ્રાપ્તિ માટેની વિવિધ સાધનાઓમાં પ્રણવોપાસના મુખ્ય છે, प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते। अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥ આગળ એક ઉપમાથી આ ઉપનિષદ ૐ કારનું પણ સચોટ મહત્ત્વ દર્શાવે છે. ‘પ્રણવ ૐ કાર ધનુષ્ય છે અને અંતરાત્મા બાણ છે. બ્રહ્મ તેનું લક્ષ્યવેધ માનવામાં આવે છે.આળસ પ્રમાદરહિત મનુષ્ય જ તે વેધી શકે છે.બાણથી લક્ષ્ય વેધીને એકાગ્રતાપૂર્વક તેમાં તન્મય બની જવું જોઈએ.’ प्रणवो धनुः शारो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥

અમૃતનાદ ઉપનિષદ તો ૐ કારથી બ્રહ્મનિર્વાણ સ્થિતિ સુધી પહોંચવાની દિશા બતાવે છે -ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् । ब्रह्मलोकपदान्वेषी रुद्राराधनतत्परः ॥ ( યોગ સાધનાનો પ્રારંભ )  ૐ કાર રૂપી રથ આરૂઢ થઈને તથા ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં જ્ઞાની પુરુષ ભગવન્ન રૂદ્રની ઉપાસનામાં લીન  થાય છે.. ओमित्येकाक्षरं ब्रह्म ओमित्येकेन रेचयेत् । दिव्यमन्त्रेण बहुशः कुर्यादात्ममलच्युतिम् ॥ ‘આ શબ્દ રૂપ એકાક્ષર પ્રણવ જ બ્રહ્મ છે.તેનું ધ્યાન કરતાં રેચક કરો.’ અમૃતોપનિષદ અનુસાર જે સ્વર કે વ્યંજન નથી ,જે કંઠ્ય, તાલવ્ય,દંત્ય વગેરેથી નહિ પણ જે પ્રાણમાંથી ઉદભવે છે  તેની સાધક યોગ્ય રીતે સાધના કરે તો યથાનુક્રમ બ્રહ્મનિર્વાણ સુધી પણ પહોંચી શકે.  

છાંદોગ્ય ઉપનિષદ વર્ણવે છે –‘ ઉદ્દગાતા દ્વારા ૐ અક્ષરનું સર્વપ્રથમ ઉચ્ચારણ કરવામાં આવે છે.ૐ નું ઉચ્ચારણ કરી સામવેદનું ગાન કરે છે.’ ओमित्येतदक्षरमुद्गीथमुपासीत । ओमिति ह्युद्गायति तस्योपव्याख्यानम्  ॥ ‘ સંપૂર્ણ પદાર્થોનો સાર-રસ પૃથ્વી છે. પૃથ્વીનો સાર જળ છે.જળનો રસ ઔષધ,ઔષધીનો સાર પુરુષ ,પુરુષનો સાર વાંક ,વાણીનો સાર સામ અને સામનો રસ ઉદગીથ છે… एषां भूतानां पृथिवी रसः पृथिव्या अपो रसः ।

अपामोषधयो रस ओषधीनां पुरुषो रसः  पुरुषस्य वाग्रसो वाच ऋग्रस ऋचः साम रसः साम्न उद्गीथो रसः ॥ આ ૐ કાર બધા રસોમાં સર્વોત્તમ છે.એ પરમાત્માનું પ્રતીક હોવાથી ઉપાસ્ય છે स एष रसानाꣳरसतमः परमः परार्ध्योऽष्टमो यदुद्गीथः ॥

તૈત્તિરીય ઉપનિષદના આઠમા અનુવાકમાં ૐ નું મહત્ત્વ દર્શાવાયું છે. ‘ૐ જ બ્રહ્મ છે ૐ જ આ પ્રત્યક્ષ જગત છે .તેની અનુકૃતિ છે.ૐ થી પ્રારંભ કરીને સામ ગાયક સામગાન કરે છે.ૐ-ૐ કહેતાં શાસ્ત્ર મંત્ર વાંચવામાં આવે છે.ૐ થી જ અધ્વર્યુ પ્રતિગર મંત્રોનું વાંચન કરે છે. ૐ કહીને જ અગ્નિહોત્ર પ્રારંભ કરવામાં આવે છે.અધ્યયન વખતે ૐ કહીને બ્રહ્મને મેળવવાની વાત કહે છે.ૐ દ્વારા જ એ બ્રહ્મને મેળવે છે ओमिति ब्रह्म । ओमितीदꣳसर्वम् । ओमित्येतदनुकृतिर्हस्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति । ओमिति सामानि गायन्ति । ॐꣳशोमिति शस्त्राणि शꣳसन्ति ।ओमित्यध्वर्युः प्रतिगरं प्रतिगृणाति । ओमिति ब्रह्मा प्रसौति । ओमित्यग्निहोत्रमनुजानाति । ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति । ब्रह्मैवोपाप्नोति ॥

નાદબિંદુ ઉપનિષદમાં ૐ ને હંસનું પ્રતીકાત્મક રૂપ બતાવીને તેની બાર માત્રાઓ તથા તેની સાથે પ્રાણના વિનિયોગનું ફળ કહેવામાં આવેલ છે.. ॐ अकारो दक्षिणः पक्ष उकारस्तूत्तरः स्मृतः । मकारं पुच्छमित्याहुरर्धमात्रा तु मस्तकम् ॥ ‘ ૐ કાર રૂપી હંસનો ‘ અ કાર ‘ જમણી પાંખ ( દક્ષિણ પક્ષ ) તથા ‘ઉ કાર’ ડાબી પાંખ ( ઉત્તર પક્ષ ) કહેવામાં આવે છે.એની પૂંછડી ‘ મ કાર’ અને અર્ધ માત્રા એનો શીર્ષ ભાગ છે.’ पादादिकं गुणास्तस्य शरीरं तत्त्वमुच्यते । धर्मोऽस्य दक्षिणश्चक्षुरधर्मो योऽपरः स्मृतः ॥ ‘ તેના પગો રજો ગુણ અને તમો ગુણ છે અને શરીર સતોગુણ છે.જમણી આંખ ધર્મને ડાબી આંખ અધર્મ છે.’  भूर्लोकः पादयोस्तस्य भुवर्लोकस्तु जानुनि । सुवर्लोकः कटीदेशे नाभिदेशे महर्जगत् ॥ ‘બંને પગોમાં ભૂ લોક,,જંઘાઓમાં અંતરિક્ષ,સ્વર્ગલોક તેની કેડમાં અને મહઃ લોક તેની નાભિ પ્રદેશમાં છે.’ जनोलोकस्तु हृद्देशे कण्ठे लोकस्तपस्ततः । भ्रुवोर्ललाटमध्ये तु सत्यलोको व्यवस्थितः ॥  એના હૃદય સ્થળમાં જન લોક ,કણ્ઠપ્રદેશમાં તપોલોક વિદ્યમાં છે અને લલાટ અને ભ્રમરોની વચ્ચે સત્યલોક રહેલ છે. सहस्रार्णमतीवात्र मन्त्र एष प्रदर्शितः ।  एवमेतां समारूढो हंसयोगविचक्षणः ॥  હજારો અવયવ યુક્ત પ્રણવરૂપ હંસ ઉપર બેસી હંસયોગી વિચક્ષણ પુરુષ ૐ કારની શ્રેષ્ઠ વિધિ દ્વારા ચિંતનમનન કરતાં હજારો પાપથી નિવૃત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે.न भिद्यते कर्मचारैः पापकोटिशतैरपि । आग्नेयी प्रथमा मात्रा वायव्येषा तथापरा ॥

ૐ કાર  દેવતા અગ્નિ છે.એનું સ્વરૂપ અગ્નિમંડળ જેવું છે.’અ કાર’ નામની માત્રા ‘અગ્નેયી’ ‘ઉકાર’ ની વાયવ્યા ‘ भानुमण्डलसंकाशा भवेन्मात्रा तथोत्तरा । परमा चार्धमात्रा या वारुणीं तां विदुर्बुधाः ॥ અને ત્યારબાદ ‘ મ કાર ‘ સૂર્યમંડળ સમાન છે.ચોથી અર્ધ માત્રા ‘વારુણી ‘ કહેવાય છે. ભિન્ન નામોથી ઓળખાતી માત્રાઓને પૂર્ણ તઃ ધ્યાન ધારણા અને સમાધિ દ્વારા જાણવાનો પ્રયાસ કરે તો માત્રા અનુસાર તેને છેક બ્રહ્મલોક સુધી પ્રાપ્ત થાય છે.      ब्रह्मप्रणवसन्धानं नादो ज्योतिर्मयः शिवः । स्वयमाविर्भवेदात्मा मेघापायेंऽशुमानिव ॥

‘પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયા પછી ૐ કાર સ્વરૂપ આત્માની એકતાના ચિંતનથી નાદરૂપમાં સ્વયં પ્રકાશવાન શિવના કલ્યાણકારી સ્વરૂપનો પ્રાદુર્ભાવ એવી રીતે થાય છે જેવી રીતે વાદળાં દૂર થઇ જવાથી ભગવાન ભાસ્કર પ્રકાશિત થઇ જાય’. अभ्यस्यमानो नादोऽयं बाह्यमावृणुते ध्वनिम् । पक्षाद्विपक्षमखिलं जित्वा तुर्यपदं व्रजेत् ॥ આવી રીતે કરવામાં આવેલો નાદનો અભ્યાસ બાહ્ય ધ્વનિઓને આવૃત કરી લે છે.એવી જ રીતે સાધક બંનેય પક્ષો  અ કાર અને મ કાર ને જીતીને ક્રમશઃ સંપૂર્ણ ૐ કાર ને ધીરે ધીરે આત્મસાત કરી તુર્યાવસ્થા પ્રાપ્ત કરી લે છે.. नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥  निरञ्जने विलीयेते मनोवायू न संशयः । नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥ એ ઉપરાંત મન અને પ્રાણ બંનેય સંશય રહિત થઈને નિરાકાર પરંબ્રહ્મમાં લિન થઇ જાય છે.કરોડો કરોડો નાદ અને બિંદુ એ બ્રહ્મરૂપ પ્રણવનાદમા  વિલીન થઇ જાય છે.

માંડુક્ય ઉપનિષદએ ૐ કાર ના આ રીતે ગુણગાન  ગાયાં છે.–ॐ इत्येतदक्षरमिदꣳ सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव ॥ ૐ આ અક્ષર અવિનાશી બ્રહ્મનું પ્રતીક છે.એનો મહિમા દર્શાવનાર વિશ્વ બ્રહ્માંડ છે .બહુ, ભવિષ્ય અને વર્તમાનકાળ વાળો આ સંસાર પણ ૐ કાર છે. ત્રણકાળથી અન્ય જે કઈ છે તે પણ ૐ કાર છે.  जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्  वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ॥  स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात् उभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥  सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद ॥ ‘જાગૃત અવસ્થા વાળો વૈશ્વાનર આદિત્યએ ૐ નું પ્રથમ ચરણ છે..સ્વપ્નાવસ્થાવાળો તેજસ રૂપ તેનું બીજું ચરણ અને ત્રીજું ચરણ પ્રાણ વિશ્વના માપક છે.’

मैत्रायण्युपनिषत् પણ ૐ કાર ના મૂર્ત અને અમૂર્ત સ્વરૂપને વર્ણવી મનુષ્ય ઈચ્છા અનુસાર પ્રાપ્ત કરી શકે તેવો નિર્દેશ કરે છે. द्वे वाव ब्रह्मणो रूपे मूर्तं चामूर्तं चाथ यन्मूर्तं तदसत्यं यदमूर्तं तत्सत्यं तद्ब्रह्म यद्ब्रह्म

तज्ज्योतिर्यज्ज्योतिः स आदित्यः स वा एष ओमित्येतदात्मा स  त्रेधात्मानं व्यकुरुत ओमिति तिस्रो मात्रा एताभिः सर्वमिदमोतं प्रोतं चैवास्मिन्नित्येवं ह्याहैतद्वा आदित्य ओमित्येवं  ध्यायंस्तथात्मानं युञ्जीतेति ॥ ‘બ્રહ્મના બે રૂપ છે .મૂર્ત અને અમૂર્ત.જે અમૂર્તરૂપ છે તે જ સત્ય છે.( અન્ય રૂપોની જેમ ) એ જ ૐ કાર છે. ૐ કારમાં બધાં તત્ત્વ વિદ્યમાન છે.આદિત્ય જ ૐ કારનું બ્રહ્મ સ્વરૂપ છે. જે ૐ કાર છે તે જ ઉદગીથ છે.તે નિદ્રા રહિત, વ્રધ્ધાવસ્થા રહિત ,મૃત્યુ રહિત છે.આ સમસ્ત વિશ્વ ૐ કાર નું સ્વરૂપ છે.આ ૐ કાર રૂપ અક્ષરનો બોધ કરીને મનુષ્ય જે કઈ ઈચ્છે તે ઇચ્છાનુસાર મેળવી શકે છે’

ૐ કાર એ આધ્યાત્મ ,આરોગ્ય અને આત્મચિંતનના સમન્વયથી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો ખુબ સરળ ઉપાય છે અને એટલે જ તમામ ઉપનિષદો તેનું અદભુત મૂલ્ય બતાવ્યું છે .માનવજીવનના ઉત્કર્ષનો આ હાથવગો  અમૂલ્ય ખજાનો સાધન બનાવીને સાધ્યની દિશામાં આગળ પ્રયાણ કરીએ.


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com