સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

નાટકનાં પાત્રો

પુરુષવર્ગ

પર્વતરાય : ⁠ કનકપુરનો રાજા
લીલાવતી : ⁠ પર્વતરાયની રાણી
કલ્યાણકામ : ⁠ પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન : ⁠ પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ : ⁠ પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ : ⁠ પર્વતરાયનો એક મંડળેશ
(=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ : ⁠ કલ્યાણકામનો આશ્રિત
રાઈ : ⁠ કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ : ⁠ રત્નદીપદેવનો પુત્ર

● ● ●

સ્ત્રીવર્ગ

લીલાવતી : ⁠ પર્વતરાયની રાણી
વીણાવતી : ⁠ પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી : ⁠ કલ્યાણકામની પત્ની
કમલા : ⁠ પુષ્પસેનની પુત્રી
મંજરી : ⁠ લીલવતીની દાસી
લેખા : ⁠ વીણાવતીની દાસી
જાલકા : ⁠ કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : ⁠ રત્નદીપદેવની રાણી

● ● ●

સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

સૂચિત પાત્રો

રૂપવતી : ⁠ પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ : ⁠ કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

● ● ●

સ્થળ

કનકપુર : ⁠ ગુજરાતની રાજધાની
(વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : ⁠ કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : ⁠ કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી : ⁠ કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : ⁠ રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર

અંક પહેલો: પ્રવેશ ૧

સ્થળ: કિસલવાડી

[જાદુની તૈયારી કરતી જાલકા રાત્રે અંધારામાં પ્રવેશ કરે છે.]

જાલકા: (સ્વગત) મંત્રની સાધના કરવી એમાં મુશ્કેલી નથી, પણ, રાઈને તે વખતે આઘે કેમ રાખવો એ મુશ્કેલ છે. એ પાસે હોય તો બધો ખેલ બગડી જાય. એને કાંઈ સમજાવીને દૂર રાખવો પડશે. (બૂમ પડે છે) રાઈ ! રાઈ !

[રાઈ હાથમાં પુસ્તક લઈ પ્રવેશ કરે છે.]

રાઈ: જાલકા ! તેં મને બૂમ પાડી ? હું એ ઓરડીમાં દીવે વાંચતો હતો, ત્યાં મને ભણકારા પડ્યા.
જાલકા: વાંચવાનો તને વખત મળે છે, અને, બાગ સંભાળવાનો વખત મળતો નથી. આ વાડી સંભાળ વગર ખરાબ થઈ જશે. જો !

કળિયો મુખ અર્ધું ખોલિને
અટકી આ જલ વીણ શોષથી;
ગુંચવે ઉગતી સુ-વેલિને,
તૃણ કાંટા વધિ આસપાસથી. ૧

રાઈ: ત્યારે તું મને પુસ્તકો શા માટે આણી આપે છે ? માળીઓએ પુસ્તકો કરતાં ઝાડ ઉપર વધારે લક્ષ આપવું જોઈએ એ કબૂલ કરું છું પણ, મેં તને ઘણી વાર કહ્યું છે કે મારાથી માળી થઈ શકાય એમ નથી. માત્ર તારી મરજી પાળવા ખારા હું ઝારી અને ખરપડી હાથમાં લઉં છું.

 

જાલકા: બીજું પણ એક કારણ છે.
રાઈ: હા. તેં આણી આપેલ એક પુસ્તકમાં એવું વચન હતું કે

‘પ્રજાપાલકની વૃત્તિ માળીના સરખી ખરે;
ઉછેરે, ફળ લે બંને. ઉખેડે, પ્રીતિ એ કરે.’ ૨

તે ઉપરથી મને લાગેલું કે માળીના કાર્યમાં પણ ઉન્નતિ છે. પણ, સરખામણીની એવી કલ્પિત મોટાઈથી કોઈ મોટું થતું નથી. ઈશ્વર શી રીતે સૃષ્ટિ બનાવે છે તે એક પ્રકારના દૃષ્ટિબિન્દુથી સમજાવવા કેટલીવાર કરોળિયાનું ઉદાહરણ લેવામાં આવે છે, પણ, તે માટે કરોળિયા પૂજાતા નથી.

જાલકા : હશે, અત્યારે એ બધા વાદવિવાદની જરૂર નથી. જા, દીવો લઈ આવ.

[રાઈ જાય છે.]

જાલકા: (સ્વગત) કાંઈક હકીકત તો એને કહેવી પડશે. લાવ, વસ્ત્ર ધરી સજ્જ થાઉં. એ વસ્ત્ર એ છો જોતો. (વસ્ત્ર પહેરે છે.)

[ફાનસ લઈ રાઈ પ્રવેશ કરે છે]

રાઈ: લે, આ દીવો લાવ્યો.

(જાલકાને જોઇ આશ્ચર્ય પામીને)

જાલકા ! આ શું ?

આ વેશ કેવો અવનવો પ્હેર્યો સિરેથી પગ સુધી!
કાળાં બધાં આ વસ્ત્ર શાં ! ને પટ્ટિઓ શી જુદીજુદી !

 

કમરે પટો શો બાંધિયો ! લટકંત પડદા ટોપિના !
કરમાં લીધો આ દંડ શો ! શા કેશ છૂટા વેણિના! ૩

તને કાંઈ ગેબી ભેદમાં જ આનંદ થાય છે.
જાલકા: લે ભેદ નહિ રાખું. તારા પોષણની ખામીથી મરી ગયેલાં ઝાડને ફરી સજીવન કરવાનો પ્રયત્ન મેં શરૂ કર્યો છે. આજ આરંભમાં આ સૂકાઈ ગયેલા ઝાડને લીલા છોડ જેવું બનવવા ધારું છું. એની સામે ઊભા કરેલા ચોકઠામાં મને કાળો પડદો બાંધવા લાગ. (બંને મળીને પડદો બાંધે છે.) સવારે તને અહીં હું એ ચમત્કાર થયેલો બતાવીશ. અત્યારે તો તું જા. મનુષ્યોની આંખોના દેખતાં કોઈ પ્રાણીમાં પ્રાણ પ્રવેશ કરતો નથી. જાદુના જોરથી મારી આંખોને તો હું અદૃશ્ય કરી શકીશ. પણ, તું તો જા. હવે વધારે ન પૂછીશ. બાકીનું બધું સવારે.
રાઈ: હું જાઉં છું. પણ આ અનુષ્ઠાનના સમાચાર સાંભળ્યા પછી મને તરત ઉંઘ કેમ આવશે? અને, જાગતો ઓરડીમાં બેસી રહું?
જાલકા: (વિચાર કરીને) – બાગમાં દક્ષિણની બાજુએ છેક છેડે કોઈ પશુ પેસી જઈ ઝાડપાનને નુકશાન કરે છે, અને, પેલા ચંપાના રોપનો ફૂટતો ગંધ ન ખમાતો હોય તેમ દર રાત્રે તેને છૂંદી જાય છે. માટે, ત્યાં તપાસ રાખતો બેસ.
રાઈ: તીરકામઠું લઈને જાઉં? દૂર ઓથે બેઠો રહીશ. એટલે તે નિશાચર આવશે પણ ખરું અને સપડાશે પણ ખરું.
જાલકા: હા, એ યુક્તિ ઠીક છે જા.

[રાઈ જાય છે]

જાલકા: (સ્વગત)- એ લોકો ઉત્તરને ઝાંપેથી છે. અને રાઈ છો એની ધનુર્વિદ્યા દક્ષિણે અજમાવે. હું પણ હવે બધી ગોઠવણ પૂરી કરું. સૂકા ઝાડનો લીલો છોડ થઈ ગયેલો હું બતાવું એટલે મારા મનોરથની સિદ્ધિ શરૂ થઈ.

 

[કાળા પડદા પાછળ જાય છે.]

● ●

સ્રોત : વિકિસ્રોત