જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
પ્રસ્તુત પ્રકરણમાં આપણે એ દરેક પાસાંઓ વિષે વિગતવાર વાત કરીશું.
૪.૧ કમાણી
અંશ ૧
અહીં આપણે આપણી અર્થવ્યવસ્થાનાં છ મહત્વનાં પાસાંઓ પૈકી પહેલાં પાસાં, કમાણી,ની જુદી જુદી લાક્ષણિકતાઓને સમજીશું.
કમાણી એટલે શું?
આપણે જુદા જુદા પ્રકારના વ્યવસાયો કરીને કમાણી રળીએ છીએ. આપણે જે કામ કરીએ છીએ તેનો એ પુરસ્કાર છે, આપણી મહેનતનું તે ફળ છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન માટે આવક એ આપણે કરેલાં કામના બદલામાં નાણાં રૂપે મળતું વળતર છે.
જીવનની અર્થવ્યવસ્થામાં કામ કરનારને માન, સન્માન કે પછી માત્ર અંગત સંતોષ જેવાં કોઈ પણ સ્વરૂપે તેનાં કામની થતી કિંમત એ તેને મન કમાણી બની રહે છે.
આપણાં રોજબરોજનાં જીવનમાં આપણે અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું નાણાકીય ખર્ચાઓ અને લાભાલાભોનું મોડેલ અને કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી એવું ષટકોણીય મોડેલ, એમ, સંદર્ભ અને સમયની માંગ અનુસારનાં, બંને મોડેલનો ઉપયોગ કરી લેતાં રહેતાં હોઈએ છીએ.
કમાણીનું સ્વરૂપ કેવું હોય? તેની ગણતરી શી રીતે કરી શકાય?
કમાણી જીવનની અર્થવ્યવસ્થાનું વિચારબીજ છે. નાણાં માપી શકાય તેમ છે અને અર્થશાસ્ત્રીઓને સમજાય એવું માધ્યમ છે એટલે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન તો એમ જ માની લે છે કે આપણાં માટે નાણાં જ કમાવાનું જરૂરી છે. પણ, આપણાં જીવનમાં આપણે નાણાં ઉપરાંત માનસન્માન, બીજાઓ દ્વારા આપણાં કામની કદર, જરૂરના સમયે આવશ્યક એવી મદદની હૂંફ અને એવું બીજું ઘણું રળી લેતા હોઈએ છીએ. આ બધી બાબતો આપણાં જીવનને અર્થપૂર્ણ કરી શકે છે. જોકે અર્થશાસ્ત્રીઓ તો એમ જ માને છે કે નાણાં વડે જ જીવન સમૃદ્ધ થાય॰
કમાણી કેટલી હોવી જોઈએ ?
અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે સામૂહિક અર્થશાસ્ત્રના પ્રવાહોના તેમના અભ્યાસોના આધારે સમાજના કયા સ્તરના કયાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા એમની કમાણી કેટલી હોવી જોઈએ તે તો તેઓ નક્કી કરી શકે તેમ છે. પણ આપણી દરેકની જરૂરિયાતો આગવી હોય છે, એટલે આપણી કમાણી કેટલી છે તેની ‘ગણતરી’ કરીને, આપણી જરૂરિયાતને સંતોષવા માટે એટલી કમાણી ‘પુરતી’ થઈ રહેશે કે નહીં એ નક્કી પણ આપણે જ કરી શકીએ.
કેટલી કમાણી પુરતી છે એ નકકી કરતી વખતે, આપણે એવું માની શકીએ, કે પછી આપણને એમ કહેવામાં આવી શકે, કે જરૂરિયાત સંતોષાય એટલી ‘ખપજોગ’ કમાણી હોય તો બહુ થયું. આવી બધી તર્કપૂર્ણ ગણતરીઓ કરવી જોઈએ વાત તો બરાબર જ છે. પણ આવી ગણતરીઓ, મોટા ભાગે, આગળ જતાં સફળ જ રહેશે એવી કોઈ ખાતરી નથી. જેમ જેમ આપણે જરૂરિયાત સંતોષાવાની કક્ષાની નજદીક પહોંચવા લાગીએ છીએ, તેમ તેમ આપણી એ બાબતની અપેક્ષાઓની ક્ષિતિજ દૂર જવા લાગે છે. આમ જરૂરિયાત સિદ્ધિનું લક્ષ્ય જ જ્યાં બદલાતું જતું રહેવાનું હોય ત્યાં કમાણીનું કોઈ પણ સ્તર, આપણી જરૂરિયાતો સંતાષવા માટે, ‘પુરતું’ બની રહેશે એમ ક્યાંથી નક્કી કરી શકાય ! એટલે જ, જ્યારે આપણને પોતાને એમ સંતોષ થાય કે આપણી પોતાની બધી જરૂરિયાતો પૂરી થઈ શકે એટલી આપણી કમાણી છે, ત્યારે એ કમાણી, એ સમયે, એ સંદર્ભમાં, ‘પુરતી’ છે.
જોકે ખપજોગ કેટલી કમાણી બસ થઈ રહેશે, કે કેટલી કમાણી પુરતી ગણી શકાય, એવી ગણતરીઓ માંડવા માટે મદદરૂપ થાય એવી કેટલીક માર્ગદર્શિકાઓ જરૂર વિકસાવી શકાઈ છે.
જેમકે, આપણી સર્વ પ્રથમ જરૂરિયાત છે આજની ભૂખ સંતોષવી. એ સંતોષાય એટલે આપણે કાલની જરૂરિયાત માટે કેટલી કમાણી જરૂરી થશે તેની ગણતરી કરીએ છીએ. તે સાથે સાથે, આપણાં પોતાનાં કુટુંબનાં વર્તમાન તેમ જ ભાવિ ભરણપોષણની જરૂરિયાત માટે ઓછામાં ઓછી કેટલી કમાણી જોઈશે તે પણ આપણી ગણતરીની અગ્રતાના ટોચના ક્રમે હોય છે.
સ્વાભાવિક છે કે કમાણીની ગણતરીમાં નાણાંનાં રૂપમાં મળતાં વળતરની સાથે આપણને મળતા બીનનાણાકીય લાભોને પણ ઉમેરવા જરૂરી છે.
આપણે એ પણ યાદ રાખવું જોઈશે કે ઝડપથી વધતી જતી અનિશ્ચિતતાઓના આજના સમયમાં આજની કમાણી અને તેને લાગતાં ભવિષ્યનાં આયોજનો પ્રસ્તુત બની રહેશે કે કેમ તે વિષે કંઇ જ અનુમાન કરવું મુશ્કેલ બનતું જાય છે. એવા સંજોગોમાં આજની કમાણીની અંદર રહીને જ ભવિષ્યની અનિશ્ચિતતાની સામે જરૂરી સલામતીની પુરતી વ્યવસ્થાને પણ આવરી લેવું આવશ્યક બનતું જાય છે.
આ ઉપરાંત ઘણાં લોકો વૃદ્ધાશ્રમો કે શાળાઓ કે ઇસ્પિતાલો કે લંગરો કે કુદરતી આફતો સામે પીડિત લોકોને સહાય પૂરી પાડવા જેવી સેવા સંસ્થાઓ ચલાવતાં હોય છે, કે પછી એવી સંસ્થાઓને માટે નિયમિત, અથવા પ્રસંગોપાત, સખાવતો કરતાં હોય છે. બીજા માટે કરીને પોતે કમાણી કરવી એ આવક ઉપાર્જન માટેનું બહુ ઉમદા કારણ છે. આવી કમાણી માટે કમાણી ‘પુરતી’ હોવાની કોઈ મર્યાદા જ ન હોઈ શકે. જે લોકો બહુ નાને પાયે, પ્રસંગોપાત પણ, સખાવત કરતાં હોય એ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત પોતાના આ ઉદ્દેશ્યો માટે પણ પોતાની પાસે વધારેમાં વધારે બચત રહે એવી વધારેમાં વધારે કમાણી કરી શકવા પ્રયત્નશીલ રહેતાં હોય છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં એક વ્યક્તિ તરીકે આપણા માટે કેટલી કમાણી પુરતી હોવી જોઈએ, કે બીજા માટે કરાતી કમાણી જેવી બાબતોનો સમાવેશ નથી થતો. એટલે, અર્થશાસ્ત્રીઓ તો પર્યાપ્ત કમાણી કે આવશ્યક કમાણીની તેમની વ્યાખ્યા અનુસાર આપણી નાણાકીય જરૂરિયાતોની ગણતરીઓ માંડી લેતા હોય છે.
અર્થશાસ્ત્રીઓમાંનો એક વર્ગ સાર્વત્રિક મૂળભૂત આવક – Universal Basic Income – UBI – ના વિચારની તરફેણ કરે છે. આ વિચાર મુજબ દેશની સરકારો દ્વારા જીવન ટકાવવા પુરતી ઓછામાં ઓછી આવક પણ ન મેળવી શકતા પરિવારોના સમાજના વર્ગને એટલા પૂરતો ટેકો થાય એટલી આવક સરકારી નાણાકોશમાંથી મળે તેવી જોગવાઈ કરવાની પ્રસ્તાવના છે. તેમના મત અનુસાર આમ કરવાથી દેશનાં અર્થતંત્રને સામૂહિક સ્તરે બહુ મોટું બળ મળી રહી શકે તેમ છે, જોકે, ઓછામાં ઓછી આવક કેટલી હોવી જોઈએ એ માટેના માપદંડો તો તેમની પોતાની વ્યાખ્યા અનુસારની ઓછામાં ઓછી જરૂરિયાતો માટે જરૂરી નાણાકીય આવકની ગણતરીઓ પર જ નિર્ભર રહે છે.
પોતાની જરૂરિયાતો અને પૂરતી આવક માટેની દરેક વ્યક્તિના પોતપોતાના આગવા દૃષ્ટિકોણ અને માન્યતાઓ હોય છે એ અર્થશાસ્ત્રીઓ દ્વારા બાબત ગણતરીમાં ન લેવાવાને કારણે અનેક દેશોમાં અલગ અલગ સ્વરૂપે લાગુ કરાયેલી આવી યોજનાઓનાં ધાર્યા પરિણામો નથી આવ્યાં. ઘણા કિસ્સાઓમાં આવી બેઠી આવકોને કારણે કુટુંબોમાં શરાબ કે જુગાર જેવી બદીઓ ફેલાવા જેવાં અણઅપેક્ષિત પરિણામોના અનેક કિસ્સાઓ આપણા દેશમાં પણ જોવા મળ્યા છે.
- આપણાં જીવનમાં જેમનું મહત્વ છે તે બધું મેળવવા જરૂરી કમાણી કરવા શું કરીશું?
- આપણી આવડત, આપણાં કૌશલ્ય, આપણી મહેનતના બદલામાં આપણને કેવાં વળતરની અપેક્ષા છે?
- આપણી નાણાકીય તેમ જ બીનનાણાકીય કમાણીનો હિસાબ આપણે શી રીતે કરવા ધારીએ છીએ?
- આપણે કેટલી કમાણી કરવી છે?, કે
- આ બધાં વિશે જરૂરી આર્થિક નિર્ણયો આપણે કેમ લેવાનાં છીએ?
જેનું મૂળ આપણી જીવન પ્રત્યેની મૂળભૂત જીવનદૃષ્ટિમાં રહેલ છે એવા, આપણા જીવનની અર્થવ્યવસ્થા વિશેના આપણા આવા બધા દૃષ્ટિકોણ વડે કમાણી વિષેની આપણી વિચારસરણીથી ઘડાય છે.
અર્થશાસ્ત્રનું વિજ્ઞાન આપણી કમાણી નાણાનાં માપદંડથી માપે છે, તો જીવનની આપણી અર્થવ્યવસ્થા આપણે કરેલ કામના પૈસાની સાથે અન્ય પુરસ્કારો દ્વારા પ્રાપ્ત થતાં સુખથી કમાણીનો હિસાબ કરે છે.
આપણી પોતપોતાની જીવનદૃષ્ટિના, આપણાં પોતાનાં અર્થઘટન પ્રમાણે, આપણા પોતાના આગવા માપદંડો મુજબ, આપણને મળતાં વળતરોની આપણે ગણતરી કરીને આપણી અપેક્ષાની સરખામણીમાં ખરેખર મેળવી શકેલાં સુખનો હિસાબ માંડીએ છીએ.
આમ, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની કેદની નીતિઓ સમજીને તેમજ નાણાં સ્વરૂપ જેલરે દોરેલી નિયમોની સીમાના દાયરામાં રહીને પણ આપણા આર્થિક નિર્ણયો લેવાની આપણી સ્વતંત્રતા આપણે ત્યજી નથી દેતાં.
એટલે કે, નાણાંને સુખના માપદંડ તરીકે અવગણી શકાય?
આપણે એક એવા સભ્ય સમાજમાં રહીએ છીએ જેનાં માળખાનાં ઘડતરમાં નાણાં અને તેના દ્વારા ચાલતી અર્થવ્યવસ્થાનું આગવું મહત્ત્વ છે.
આ વાત આપણે બરાબર સમજીએ છીએ, અને માટે જ એ સમાજની આર્થિક જેલ અને નાણાં સ્વરૂપ જેલરનાં અસ્તિત્વને આપણે સ્વીકારીએ પણ છીએ.
એટલે, નાણાંને સાવેસાવ તો અવગણી ન શકાય. પણ નાણાં થકી જે કંઈ સુખ મળે એટલું જ તેનું આપણાં જીવનમાં મહત્ત્વ હોઈ શકે॰ આપણું મન જ્યાં જરા પણ નથી લાગતું એવા ખૂબ પૈસા કમાવી આપતા વ્યવસાયમાં આપણે શું કાયમ સુખી રહી શકીશું? ભલે વળતર કદાચ થોડું ઓછું હોય પણ મનનાં સુખ અને શાંતિ મળે એવા વ્યવસાયને આપણે કેમ સ્વીકારી લેતાં હોઈએ છીએ? આર્થિક ઉપાર્જનની વ્યસ્તતામાં જો આપણે કળા, વાંચન, બહાર ફરવા જવાના જેવા આપણાં શોખના આપવા પડતાં ભોગ આપણને શા માટે ખૂંચે છે
નાણાં માત્રથી જ સુખ મળશે એવું જરૂરી નથી. નાણાં ભૌતિક સુખો લાવી આપશે પણ આપણાં જીવનની સફળતાનું અંતિમ લક્ષ્ય તો મનમાં અનુભવાતી સુખની અનુભૂતિ જ છે. એટલેકે, નાણાંની જીવનમાં જરૂર છે પણ જીવનની સુખશાંતિ માટે તે એકલાં જ પર્યાપ્ત નથી. આર્થિક જેલમાં રહીને આપણે આપણાં જીવનને કુંઠિત નથી થવા દેવાનું, પણ ધબકતું, વિકસતું રાખવાનું છે. નાણાંકેન્દ્રી અર્થવ્યવસ્થામાં આર્થિક કમાણી કરતી પ્રવૃતિ જરૂરી છે, પણ એટલી જ જરૂરી એ પ્રવૃતિઓમાં વણાયેલી નાની નાની વિગતોનું વિષયવસ્તુ છે. પેઢીઓ સુધી ન ખૂટે એટલી આર્થિક સંપતિ ધરાવનારને એ સંપત્તિ જાળવી રાખવાની ચિંતામાં રાતની સુખની નીંદર પણ ન આવતી હોય એવા દાખલા આપણાથી ક્યાં અજાણ્યા છે !
પરંપરાગત નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં નાણાં કમાવાં પડતાં હતાં અને નાણાં પર નિર્ભર રહેવું પડતું હતું એ હકીકત તો છે. પણ હવે બીનનાણાકીય સાધનોથી પણ સુખમય જીવન વિતાવી શકાય એવી અર્થવ્યવસ્થા પણ વિકસી રહી છે, જ્યાં નાણાંની કમાણી ઉપરાંત બીનનાણાકીય વળતરો પણ હવે જીવનનાં સુખના માપદંડો તરીકે સર્વસ્વીકૃત થવા લાગ્યા છે.
હવે, ભૌતિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ, સેવાઓ કે સગવડો પુરી પાડવા સાથે જે અપેક્ષિત સુખ પણ પૂરું પાડે તે કમાણી ‘પર્યાપ્ત’ ગણાય છે. મહેનત આપણી છે, કમાણી આપણી છે અને સુખની વ્યાખ્યા પણ આપણી જ છે, તો શું અને કેટલી કમાણી પર્યાપ્ત છે તે અર્થશાસ્ત્રી નક્કી કરશે કે આપણે નક્કી કરીશું?
આ પ્રકરણના હવે પછીના મણકામાં આપણે નાણાં શા માટે જરૂરી છે અને તે કેમ કમાઈ શકાય તે વિષે વાત કરીશું
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
