ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
ભારતીય સંસ્કૃતિ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાક્ષાત પરબ્રહ્મ તરીકે સ્થાપિત કરે છે. મનુષ્યમાં રહેલા ‘માણસ’નું સર્જન,પોષણ અને તેનામાં રહેલાં અસુરત્વનું વિસર્જન ગુરુ જ કરી શકે. આપણી સંસ્કૃતિ સ્પષ્ટ માને છે . પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિમાત્રના ઉત્તમ માનવત્વને ગુરુ જ બહાર લાવી શકે.દરેકના જીવનમાં દિશાદર્શન અનિવાર્ય છે અને તે ગુરુ જ કરી શકે..સમાજ ગુરુનું મૂલ્ય સમજી શકે એટલે પરબ્રહ્મ-મહાજ્ઞાની ઈશ્વરે પણ જયારે જયારે માનવ અવતાર લીધો છે, ગુરુ પાસે જ દીક્ષા લીધી છે.શ્રીરામ, વશિષ્ઠ કે વિશ્વામિત્રની આજ્ઞા અનુસરે તો શ્રી કૃષ્ણ ગુરુ સંદીપની પાસે વિદ્યાભ્યાસ કરે.
‘ગુ‘ એટલે અંધકાર અને ‘ રુ ‘ એટલે અંધકાર દૂર કરનાર ( નિરોધક), પ્રાચીનકાળમાં વપરાતો ગુરુ શબ્દ આ વ્યાપક અર્થમાં વપરાતો.ડો.નિરંજન રાજગુરુ તેમના એક પુસ્તકમાં,’ સંત સાહિત્ય ‘નો સંદર્ભ ટાંકતા, અદૈતાકોપનિષદનો મંત્ર ‘ શબ્દ સ્તવનધકાર:સ્યાદ શબ્દસ્ત ન્ની રોધક ; અંધકાર નિરોધીત્વાંદ ગુરુરિત્ય ભિધીયતે ।। કાળક્રમે ‘ગુરુ‘ શબ્દ પણ અર્થ સંકોચનો ભોગ બન્યો છે હવે એ ક્યાંક શિક્ષકના પર્યાયમાં વપરાય છે તો ક્યાંક પેઢી દર પેઢી ચાલતી ગાડી ગાદી કે સંસ્થા સાથે જોડાઈ ગયો છે.તો ક્યાંક ચમત્કાર,અપેક્ષા કે આત્મવિશ્વાસના અભાવે આંધળાં અનુકરણમાં અટવાઈ ગયો છે.તારણ એટલું કે વ્યક્તિમાત્રમાં શ્રદ્ધાના સથવારે કશુંક હકારાત્મક અને ઉત્કર્ષ પૂર્ણ કશુંક ઉમેરે તે ગુરુ.એવું સમાજે સ્વીકારી લીધું છે.
વિદ્યા આદાન -પ્રદાનમાં જોડાયેલા ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખુબ મોટો ભાગ ભજવે છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિ પણ તેને મહત્ત્વ જરૂર આપે છે પરંતુ સામાજિક જીવનના બદલાયેલાં પરિબળોને લીધે બંને પક્ષે કશુંક ખુબ ખૂટે છે તે હકીકત છે.તેની સીધી અસર શિક્ષણ અને જીવન વિકાસના અનેક પાસાં પર પડે છે.આદર,શિસ્ત ,વિદ્યાર્થીની ભિન્ન ગ્રહણ ક્ષમતા, શ્રદ્ધા, પરસ્પરની વિશ્વનીયતા, આત્મીયતા વગેરે જેવી પાયાની આવશ્યક બાબતોમાં ક્યાંકને ક્યાંક શિક્ષણ સંસ્થાઓ ઉણી ઉતરે છે. તો બીજી બાજુ શિક્ષક ( શાળા ગુરુ ) ની નિષ્ઠા ,ગુણવત્તા, ઊંડાણના માપદંડો જેવાં પરિબળો પણ ક્યાંક સવાલો ઉભા કરે છે. સમાજમાં પણ શુદ્ધ હેતુવાળા અને સાચા ગુરુ જવલ્લે જ મળે .
હકીકતમાં શિક્ષક ( શાળા ગુરુ ) નો વ્યવસાય, તમામ વ્યવસાયોમાં શ્રેષ્ઠ છે .મારી શિક્ષકસભામાં મારો એક અંગત મત વારંવાર કહેતો, “ચોક્કસ આપણો અગાઉનો કોઈ પૂર્વજન્મ ઋષિનો જ હશે અને તે સમયનાં અધૂરાં કર્મો પૂર્ણ કરવા આપણે આ જન્મે શિક્ષક બન્યા હોઈશું.’
આપણે તો એવા નસીબદાર છીએ કે આપણો જન્મ ભારતદેશમાં થયો છે જ્યાં એવી ઉપનિષદ ગંગા વહે છે જેમાંથી ઉત્કૃષ્ટ ગુરુ-શિષ્ય, ભૃગુ-વારુણી નચિકેતા-યમરાજ ,સત્યકામ- જાબાલા- ગૌતમ ,નારદ -સનતકુમાર,શ્વેતકેતુ- આરુણિ ,યાજ્ઞવલ્કય -ગાર્ગી,મૈત્રેયી ઇન્દ્ર -પ્રજાપતિ,બાલાકી- અજાતશત્રુ, જનક -યાજ્ઞવકલય જેવાં ગુરુ શિષ્ય મૌક્તિકો પ્રાપ્ત થાય છે .આપણે પણ તો એમના જ સંતાન છીએ ને ?
ॐ सह नाववतु ।सह नौ भुनक्तु ।सह वीर्यं करवावहै ।तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ મંત્રથી આપણે બધા ખુબ સુપરિચિત છીએ. અનેક ઉપનિષદોના શાંતિમંત્ર તરીકે તે ઉપનિષદના પ્રારંભે કહેવાયો છે.આ મંત્રનો અનુવાદ જાણીએ તો જ આપણને વેદકાળના ગુરુ શિષ્ય સંબંધ વિષેનો
સાચો ખ્યાલ આવે. ” હે પરમાત્મન ,આપ આપણા બંનેની એક સાથે રક્ષા કરો.આપણા બંનેનું એક સાથે પાલન કરો.આપણે બંને એક સાથે શક્તિ અર્જિત કરીએ.આપણા બંનેની ભણેલી વિદ્યા તેજસ્વી બને.આપણે બંને ક્યારેય એક બીજા પ્રત્યે ઈર્ષા દ્વેષ ન કરીએ.અમારા ત્રિવિધ ( આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક ) તાપોનું શમન થાવ. શાંતિની પ્રાપ્તિ થાવ” આ બધું દ્વિવચનમા છે.
કઠોપનિષદનો શાંતિપાઠ પણ એવી જ મંગળ પ્રાર્થના છે ॥ ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः
श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्वं ब्रह्मौपनिषदं माऽहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म
निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मेऽस्तु । तदात्मनि निरते यउपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ ‘ હે પરમાત્મન, અમારાં બધાં અંગ પુષ્ટ બનો ,અમારી વાણી પ્રાણ, નેત્ર ,શ્રોત્ર,બળ અને સંપૂર્ણ ઈંદ્રિય પુષ્ટ બનાવો.’ તૈત્તરીય ઉપનિષદ પણ કહે છે –सह नौ यशः । सह नौ ब्रह्मवर्चसम् । અમારા બંનેનો યશ એક સાથે જ વધે. અમારા બંનેનું બ્રહ્મતેજ પણ એક સાથે જ વધે.’
વળી ગુરુ શિષ્ય સંબંધમાં ઉપનિષદમાં એક વિશેષ વાત જોવા મળે છે.ગુરુ કોણ ? શિષ્ય કોણ ? – ગુરુકુળમાં આવેલા શિષ્યના ગુરુ તો ગુરુકુળના હોય જ.પણ પિતા- પુત્ર,રાજા-પ્રજા ,યમ -નચિકેતા ,નારદ-સનતકુમાર,યાજ્ઞવલ્કય -મૈત્રેયી ( પતિ-પત્ની ) બ્રાહ્મણ -ક્ષત્રિય વગેરે પણ ગુરુ -શિષ્ય હોઈ શકે. જ્ઞાન મેળવવા માટે કોણ છે એના કરતાં શીખવાની અને શીખવવાની ઉત્કંઠા કેવી છે ? એ જોવાતું હતું..ગુરુને જયારે પોતાની જ્ઞાન મર્યાદા દેખાય કે વિશેષ જ્ઞાનની ભૂખ જાગે તો તરત શિષ્યને જણાવી અન્ય પાસે જવા સૂચવે .ક્યારેક તો પોતે પણ જાય
ગુરુની ગરિમા તો લગભગ બધે જ હોય પણ ઉત્તમ શિષ્યની પણ કદર હોય એવું કઠોપનિષદના યમરાજા -નચિકેતા સંવાદના જોવા મળે છે.श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ‘જ્ઞાનને ગ્રહણ કરનારા કુશળ જિજ્ઞાસુ પણ અતિ દુર્લભ હોય છે વિશેષજ્ઞ .આચાર્ય દ્વારા તત્ત્વવેત્તા પણ અતિ દુર્લભ હોય છે.’ આત્મજ્ઞાન આપ્યા પછી નચિકેતાની ઉચ્ચ લાયકાતોને બિરદાવતાં યમરાજા બોલી ઉઠે છે. नैषा तर्केण मतिरापनेया प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ । यां त्वमापः सत्यधृतिर्बतासि त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥ ‘આપ યથાર્થ સત્યના શોધક છો.આપ જેવા શિષ્ય જ અમને પ્રાપ્ત થાવ.’.
કેવળ વ્યાખ્યાન નહિ પણ સંવાદ અને ચર્ચાના પ્રાધાન્યની ચોક્કસ નોંધ લેવી પડે.શિષ્ય જયારે અનેક પ્રશ્નો ઉઠાવે ત્યારે ગુરુને વિશેષ આનંદ આવે.રાજાઓ વિદ્વાનો જિજ્ઞાસુઓ વચ્ચે આવી ચર્ચાસભાઓ ગોઠવે. કેનોપનિષદમાં એક નોંધનીય પ્રસંગ ટાંકવાનું મન થાય છે. यदि मन्यसे सुवेदेति दहरमेवापि दभ्रमेवापि
नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपम् । यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमाँस्यमेव ते मन्ये विदितम् ॥ -આચાર્ય, :’ જો તમારી એવી માન્યતા હોય કે હું બ્રહ્મને જાણી ગયો છું તો ચોક્કસ તમોએ બ્રહ્મનો અલ્પ અંદાજ જ જાણ્યો છે ‘ नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च । यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च ॥ શિષ્યનો સ્વીકાર ઉત્તર ,’ અમોએ બ્રહ્મને જાણી લીધો છે એવું અમે માનતા જ નથી.’ એવી જ રીતે છાંદોગ્ય ઉપનિષદનો પરસ્પર સંવાદ ચર્ચાનો આહવાન પ્રશ્ન પણ રસપ્રદ છે. त्रयो होद्गीथे कुशला बभूवुः शिलकः शालावत्यश्चैकितायनो दाल्भ्यः
प्रवाहणो जैवलिरिति ते होचुरुद्गीथे वै कुशलाः स्मो हन्तोद्गीथे कथां वदाम इति ॥ -ત્રણ ઋષિ-શાલવાન પુત્ર સિલક,ચીકીયાતનના પુત્ર દાલભ્ય, જીવણના પુત્ર પ્રવાહણ જ્ઞાન-ચર્ચા માટે ભર્ગ થયા. -’ ઉદ્દગીથ સંબંધી વિદ્યાના પારંગત ‘ શા માટે આ વિષય પર આપણે ચર્ચા ન કરીએ ?’ છાન્દોગ્ય ઉપનિષદમાં પણ આવું એક ઉદાહરણ મળે છે. અનેક ઋષિ વિસ્તૃત ચર્ચા પછી નિર્ણય કરે કે ‘વૈશ્વાનર આત્મા વિષે તો આપણે મહર્ષિ આરુણિ પાસે જ જવું જોઈએ.’.ते ह सम्पादयांचक्रुरुद्दालको वै भगवन्तोऽयमारुणिः सम्प्रतीममात्मानं वैश्वानरमध्येति तꣳ हन्ताभ्यागच्छामेति तꣳ हाभ्याजग्मुः ॥
ગુરુની શિષ્ય પ્રત્યેની નિષ્ઠા પણ અદભુત દેખાય છે.ઉપનિષદોમાં એવાં અનેક ઉદાહરણ મળે છે કે દૃઢતા માટે એક જ સિદ્ધાંતનું ગુરુ પુનરાવર્તન કરે અને શિષ્યને પૂછે કે તમને ગળે ઉતર્યું કે ફરી કહું ? કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે, , पुनरेवाह तुष्टः ॥
ગુરુકુળમાં પ્રવેશ તો લીધો પણ કઈ વિદ્યા કોને કેમ શીખવવી; એ ગુરુ નક્કી કરે.,શિષ્ય નહિ. યોગ્યતા અને પાત્રતા ગુરુ જ નક્કી કરે.એનો ઉદેશ્ય એની નિપુણતા શા માં છે અને વિદ્યા પચાવવાની-સમજવાની ક્ષમતા અને તેની ઉત્કંઠા કેટલી છે. स यदशिशिषति यत्पिपासति यन्न रमते ता अस्य दीक्षाः॥
બાળક આઠ કે નવ વર્ષનું થાય એટલે પિતા તેને ગુરુકુળમાં મૂકી જાય.ગુરુ યજ્ઞોપવિત ધારણ કરી દીક્ષા આપે.ત્યાર પછી તે ગુરુથી જ બંધાયેલો.એટલે સુધી કે તે શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી આશરે 25 મા વર્ષ સુધી પોતાના ઘેર સારા કે માઠા પ્રસંગે પણ ઉપસ્થિત ન રહે.એક જ લક્ષ્ય. જે સાધક ખાવાની ઈચ્છા કરે પરંતુ આસક્ત ન થાય ,એ જ એની દીક્ષા છે. अथ यत्तपो दानमार्जवमहिꣳसा सत्यवचनमिति|
ગુરુ ,શિષ્યને વિદ્યા આપતાં પહેલાં જ કેટલીક અગત્યની આદેશાત્મક સૂચના આપે છે.અને શિષ્ય પણ એ સૂચનાનો અમલ કરવા માટે બંધાયેલો છે. सत्यमिति सत्यवचा राथी तरः ।तप इति तपोनित्यः पौरुशिष्टिः ।स्वाध्यायप्रवचने एवेति नाको मौद्गल्यः । तद्धि तपस्तद्धि तपः ॥ ‘સત્ય આચરણ,અને વાણી સાથે,શાસ્ત્રોનું અધ્યયન, અધ્યાપન કરો .તપશ્ચર્યા મન ચિંતન સાથે અધ્યયન અધ્યાપન કરો.’ સ્વાભાવિક જ છે જો આનું પાલન થતું હોય ત્યાં શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ શિષ્ય જ મળે .
પૂજ્ય આચાર્ય રામશર્માજી કહે છે ,’ઉપનિષદોમાં ગુરુને પોતાના અનુભવો પ્રત્યે પૂર્ણ આત્મવિશ્વાસ મળે છે ત્યાં જ્ઞાનીની નિરહંકારીતા પણ સ્પષ્ટ જણાઈ આવે છે.’ નચિકેતાને ત્રણ દિવસ પ્રતીક્ષા કરવી પડી તો યમરાજા પ્રાયશ્ચિત્ત પ્રગટ કરે છે. જંનક સભામાં યાજ્ઞવલ્કય પોતાના શિષ્યને ગાયો લઇ જવા કહે છે ત્યારે કોઈ પૂછે છે ,’શરત અનુસાર તમે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છો.?’ યાજ્ઞવલ્કય ઉત્તર વાળે .છે ,’ બ્રહ્મવેત્તાને નમસ્કાર. મારે ગાયોની જરૂર છે તેથી લઇ જાઉં છું.’
કદાચ સમાજની મોટાભાગની વર્તમાન સમસ્યાઓના મૂળમાં જ જે કારણ છે તે શિષ્ય ગુરુની ક્યાંકને ક્યાંક રહી જતી કચાશ જ છે. ઉપનિષદો પાસેથી લેવાની શીખ એ કે ગઈકાલની ઉત્તમ ગુરુ-ઉત્તમ શિષ્ય પરંપરા શરુ કરવા સનિષ્ઠ પ્રયાસ કરીએ.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
