નીતિન વ્યાસ

શ્રી વલ્લભાચાર્યજીના પૂર્વજો આંધ્ર પ્રદેશના કાંકર પરગણામાં આવેલા વિષ્ણુસ્વામી સંપ્રદાયના કાકરપાઢુ ગામમાં રહેતા. તે કુટુંબોમાં  યજ્ઞયાગાદિક વૈદિક માર્ગ તરફ પૂરા આદરવાળી ગોપાલકૃષ્ણને ઇષ્ટદેવ માનતી વૈષ્ણવી પરંપરા હતી.

લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લો ‘સોમયાગ’ પૂરો કર્યા પછી ત્રિવેણીમાં સ્નાન કવાનો તેમજ ત્યાં પ્રયાગમાં તથા કાશીમાં જઈ બ્રહ્મભોજન કરાવવાનો ભાવ હતો. જે, સપત્નીક જઈ પૂર્ણ કર્યો. ત્યારબાદ પ્રયાણ કર્યું  પ્રયાગ અને પછી કાશી પહોંચી ત્યાં વિરક્ત વૈષ્ણવ માધવેંદ્ર યતિની પાઠશાળામાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ સાધ્યો. દિલ્હીના સુલતાન  લોદી (ઈ. સ. ૧૪૫૦ – ૧૪૮૫)નાં લશ્કર આગળ વધતાં અને જોનપુરનો પ્રદેશ દબાવતાં કાશી નજીક આવેલાં સાંભળી કાશીવાસીઓ ત્યાંથી પોતપોતાના દેશ તરફ હિજરત કરવા લાગ્યા, ત્યારે લક્ષ્મણ ભટ્ટજી સહકુટુંબ કાશી છોડી આંધ્ર તરફ જવા નીકળ્યા અને કેટલાક દિવસો વટાવી આંધ્રના પ્રદેશની સરહદે આવી પહોંચ્યા, જ્યાં સં. ૧૫૨૯ ના ચૈત્ર વદિ ૧૧(અગિયારસ)  ને શનિવારે (તા. ૪ એપ્રીલ ૧૪૭૨ ) ભીમરથી નદીના કિનારે આવેલા ચંપારણ્ય નામના સ્થાનકે પ્રવાસના હડદોલાને કારણે શ્રી ઈલ્લમ્માગારુજી સગર્ભા હતાં એમણે રાત્રિ શરૂ થતાં ૯ ઘડી અને ૪૪ પળને સમયે બાળકને જન્મ આપ્યો. સાતમે અધૂરે મહિને પ્રસવ થવાથી ગર્ભને મૃતવત્ જોયો એટલે નજીકના ઝાડની બખોલમાં બાળક પર લૂગડું ઢાંકીને મૂક્યો અને શબને કોઈ વન્ય પશુ ઉપાડી ન જાય એ માટે ફરતે વીણી લાવેલાં લાકોટિયાં સળગાવી કુટુંબ આરામ કરવા સૂતું. સવાર થવા આવતાં અગ્નિના તાપથી પેલું બાળક ચીસ પાડવા લાગ્યું, જે સાંભળી સૌ ઊઠ્યાં અને બાળકને ખોળામાં લીધું. આ બાળક એ શ્રીવલ્લભાચાર્યજી.

વલ્લભાચાર્યે યુવાવયે તીર્થયાત્રાઓ શરૂ કરી. વૈષ્ણવોને વિષ્ણુસ્વામીની પરંપરાની ભાગવતી દીક્ષા આપતાં આપતાં મારવાડની પૂર્વ સરહદ પરના ઝારખંડમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે વ્રજમાં ગિરિ ગોવર્ધન ઉપરના મંદિરમાં પોતાના વિદ્યાગુરુ માધવેંદ્રયતિ શ્રીનાથજીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. તેઓશ્રી કેટલાંક વર્ષો ઉપર (ઈ. સ. 1483માં) સ્વધામ પહોંચી જતાં ગામડિયાઓ ત્યારથી શ્રીનાથજીની સેવા કરે છે. યાત્રા થંભાવી એઓશ્રીએ પહેલો મુકામ ગોકુલમાં શ્રીયમુનાજી ઉપરના ગોવિંદ ઘાટ ઉપર કર્યો, એ દિવસ સં. ૧૫૬૩ના શ્રાવણ ૧૧(અગિયારસ) અને ગુરુવાર નો હતો. सिद्धांतरहस्यમાં બતાવ્યા પ્રમાણે એઓશ્રીના હૃદયમાં નિ:સાધન શરણમાર્ગ‘પુષ્ટિમાર્ગ’ની સ્ફુરણા થયેલી.

ગિરિગોવર્ધન ઉપર સં. ૧૫૫૬ના  વૈશાખ સુદિ 3, રવિવારે (તા. ૧૪ એપ્રિલ ૧૪૯૯) અંબાલાના પૂર્ણમલ્લ ઠાકુરે શ્રીનાથજીના મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને ૨૦ વર્ષમાં એ તૈયાર થઈ જતાં સં. ૧૫૭૬ ના વૈશાખની સુદિ 3, અક્ષય તૃતીયાના દિવસે (તા. ૨ -૪-૧૫૧૯  અને શનિવારે) નવા મંદિરમાં પ્રભુપાટ પધાર્યા. આમ શ્રીનાથજીનો સેવાક્રમનો આરંભ થયો.

ઈસવીસન ૧૫૩૧.જૂન મહિનાની ૨૬ મી તારીખે કાશીમાં તેમણે દેહ ત્યાગ કર્યો.

શ્રીવલ્લભાચાર્યજી દ્વારા રચિત ૩૬ ગ્રંથો હાલ ઉપલબ્ધ છે. જેમાં ભાગવત મહાપુરાણની સુબોધિની,યમુનાષ્ટક, ગાયત્રી વ્યાખ્યા. ગાયત્રી ભાષ્ય.વગેરે પૈકીનું એક શ્રીનાથજીનાં ગુણગાન ગાતું  “મધુરાષ્ટક”.

સાક્ષર શ્રી કે. કા. શાસ્ત્રી નાં લખેલા લેખ પરથી આ માહિતી લીધી છે. સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ

॥ मधुराष्टक् ॥

ભગવાનના  દર્શન થી  પ્રભાવિત થયેલા કવિ કહે છે

તેમના હોઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે મધુરાધિપતિ શ્રી ક્ર્ષ્ણનું સર્વસ્વ મધુર છે,

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् ।
हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ १॥

 

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २॥

 

वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३॥

 

गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् ।
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ४॥

 

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् ।
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ५॥

 

गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ६॥

 

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ७॥

 

गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ८॥

 

 ॥ इति श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णं ॥

ભારતમાં સાલ ૧૯૫૪  માં “ભારત રત્ન” દ્વારા બહુમાન કરવાનો આરંભ કર્યો ત્યારે એ ખિતાબ ના પહેલા વિજેતા શ્રી એમ.એસ.સુબ્બુલક્ષ્મી (Madurai Shanmukhavadivu Subbulakshmi) . સાલ ૧૯૧૬માં મદુરાઈ, તમિલનાડુ માં જન્મેલા સુબ્બુલક્ષ્મી ને સંગીત શિક્ષા એમનાં માતુશ્રી  પાસેથી મળેલી. ત્યારબાદ પંડિત શ્રી નારાયણરાવ વ્યાસ પાસેથી સંગીત શીખ્યા. તેઓશ્રીએ ફક્ત ૧૩ વરસ ની ઉંમરે જાહેરમાં ગાવાનું શરૂ કર્યું. પ્રસ્તુત છબી તેમની ફિલ્મ “મીરા” માંથી લીધી છે. ૧૯૪૫માં ફિલ્મ તમિલ ભાષામાં બનેલી. પછી તેનું હિન્દી સંસ્કરણ રજુ થયેલું. સાલ  ૨૦૦૪ માં તેમનો સ્વર્ગવાસ ચેન્નાઇ ગામે  થયેલો.  શરૂઆત કરીએ શ્રીમતી  સુબ્બુલક્ષ્મી ના સુમધુર  સ્વરમાં “મધુરાષ્ટક” દ્વારા

શ્રીમતી સુબ્બુલક્ષ્મી ની આ જ પ્રસુતિ સાથે ભરતનાટ્યમ, કલાકાર ચેન્નાઈની નૃત્યશાળા ની વિદ્યાર્થીનીઓ.

ડો. સુભદ્રા દેસાઈ, NCPA મુંબઈ દ્વારા આયોજિત કાર્યક્રમનું  જીવંત પ્રસારણ

મેવાતી ઘરાનાના મહાન ગાયક પદ્મ વિભૂષણ  સ્વ. શ્રી પંડિત જસરાજ

સંગીતકાર અને ગાયક શ્રી શંકર મહાદેવન

સુપ્રસિધ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલ

https://youtu.be/1xyKRrsUnV4

“મધુરાષ્ટક” ની કર્ણપ્રિય રજુઆત, સર્વ શ્રી આલાપ અને આશિત દેસાઈ નાં સ્વરમાં

કલાકાર શ્રી સ્વાતિ મેહુલ જૈન ના સ્વરમાં આ પ્રસ્તુતિ સાંભળો,સંસ્કુત સાથે સ્વરિત હિન્દી ભાવાનુવાદ સાથે

દક્ષિણ ભારત માં  ટોલીવુડ અને બાદમાં બોલીવુડ પણ સફળ ગાયીકા શ્રી સુપ્રભા કે.વી.

ઈસ્કોન મંદિર નાં પ્રાંગણમાં કુ. ત્રિશા પારુલ

દિલ્હીના કલા દર્શન નૃત્ય શાળાના સંચાલક અને પ્રસિદ્ધ કથ્થક નૃત્યાંગના શ્રી શ્રીવર્ણ રાવત

મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા નાટ્ય વિહાર કલાકેન્દ્ર ની રજુઆત

સુરત સ્થિત રીતુ ડાન્સ સ્ટુડિયોની પ્રસ્તુતિ

ચેન્નાઈની વિખ્યાત સંસ્થા કલાક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રી અમરનાથ ઘોષ, ભરતનાટ્યમ અને કચ્ચીપૂડી નૃત્યકાર ની સુંદર પ્રસ્તુતિ

કલકત્તાની નૃત્યાંગના શ્રી મોમિતા બિસ્વાસ

કુચીપુડી નૃત્ય કલાકાર અવધ, અલીદા, અનજાન નરેન્દ્રન અને અહીર સુંદરન

કલાકાર નિતા અંબાણી,  કુટુંબમાં વિવાહ પ્રસંગે:

હેડફોન કાને લગાવી આ 8D Fuzion સાંભળો. કલાકાર છે શ્રી મહાલક્ષ્મી અય્યર

શ્રી ચૈતન્ય મહાપ્રભુની પ્રેરણાથી શ્રી જયદેવે અષ્ટપદી માં ગીત ગોવિંદ રચ્યું. ત્યારબાદ સંસ્કૃતમાં ઘણી ભક્તિ રચના અષ્ટપદી માં રચાઈ છે..અષ્ટપદી વિવિધ રાગમાં વિલંબિત અને ઘૃત માં ગાવામાં આવેછે. સાથે ભરત નાટ્યમ, કુચીપુડી વગેરે નૃત્ય શૈલી સુંદર રીતે આ બંદિશો અનુરૂપ થાય છે.

મથાળે મુકેલા ચિત્ર બાબત: દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ શ્રી વલ્લભાચાર્યજી નું  ચિત્ર ચીતરવા પોતાના ચિત્રકારને આચાર્યશ્રીના નિવાસસ્થાને મોકલ્યો હતો, જે ચિત્રમાં પોતાની સામે પાટલા પર ભાગવતપુરાણની પોથી સામે એક શિષ્ય માધવ ભટ્ટ કાશ્મીરી શ્રીમહાપ્રભુજી લખાવતા જાય છે એ ‘સુબોધિની’ ટીકા ટપકાવી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન દંડવત્પ્રણામ કરી રહ્યા છે અને દામોદર હરસાણી બેઠા છે. આ ઐતિહાસિક ચિત્ર કિશનગઢ(રાજસ્થાનમાં અજમેરથી જયપુર જવાના માર્ગમાં આવતા નગર)ના રાજવીના સંગ્રહમાં સચવાઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં આ ચિત્રની પ્રતિકૃતિઓ મંદિરો, ગ્રંથો તેમજ વૈષ્ણવોનાં મકાનોમાં સુલભ છે.

 જો કે મને ખાત્રી નથી કે એ આ જ ચિત્ર છે.  ચિત્ર ગૂગલ ઉપરથી લીધું છે.


સાલ ૨૦૧૪ ના ઓક્ટોબર મહિનાથી અનાયાસે શરૂ થયેલી  આ શ્રેણી નો આ ૧૦૦ મો મણકો છે. શ્રીમતી કેસરબાઈ કેલકર ની ગાયેલી  ભૈરવી ઠૂમરી ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય” નાં અનેકવિધ રૂપો ઉપર પહેલી વાર લખ્યું. . “વેબગુર્જરી” સંપાદન મંડળના સભ્યો તરફથી સારું પ્રોત્સાહન મળ્યું. અને આ શ્રેણી નિયમિત શરૂ થઇ. પ્રથમ તો શ્રી અશોકભાઈ વૈષ્ણવનો હું ઋણી છું,, જે મારું થીગડ થાગડ  લખાણ સારી રીતે કમ્પોઝ કરી, મઠારીને દર મહિને વેબસાઈટ પર મુકવા યોગ્ય બનાવતા રહ્યા. આ સંગીતમય શ્રેણીમાં ન હતી કોઈ સંગીત કે સાહિત્યની સેવા. પણ એક જિજ્ઞાસા હતી. અને તેના મૂળમાં હતું અમારું ભાવનગર નું ઘર, એ મહોલ્લો, ઘરમાં બાપુજી, કાકા અને તેમના મિત્રો નો  સંગીતનો શોખ..બાજુમાં સંગીતકાર જગદીપભાઈ વિરાણી રહે. વારે તહેવારે મહેફિલ જામે. ઓમકારનાથ, અબ્દુલ કરીમ, ફૈયાઝ ખાં. કેસરબાઈ જેવા દિગ્ગજ કલાકારો એ ગાયેલી બંદિશ, એક ચીઝ જયારે કાન  પર પડે ત્યારે ઘર યાદ આવે.
આ સફર  ઘણા મિત્રોનો સહકાર મળ્યો. અને  તેમના જ સહારે અહીં સુધી ગાડી ચાલી. સર્વ શ્રી કનકભાઈ રાવળ , ભરતભાઈ પંડ્યા, જયંતભાઈ મેઘાણી, વિજયભાઈ શાહ – જેમણે માર્ગદર્શન આપ્યું, સૂચનો કર્યા. સર્વશ્રી  સરયુબેન  પરીખ, દેવિકાબેન ધ્રુવ, શૈલાબેન મુન્શા, સુરેશભાઈ બક્ષી  જેમણે સમય કાઢી કૃતિને અનુરૂપ રસદર્શન લખી આપ્યાં. ગાયક અને સંગીતકાર સર્વશ્રી  ભાવનાબેન દેસાઈ અને  દર્શનાબેન ભુતા જેમણે રાગ ઓળખવામાં ખૂબ સહકાર આપ્યો. સર્વ શ્રી અરુણાબેન જાડેજા, ગીતાબેન ભટ્ટ, વલીભાઈ મુસા, લતાબેન હિરાણી નો ખાસ આભાર માનવાનો. તેમણે લખેલા પુસ્તક અને વેબસાઈટ પર પ્રકાશિત થયેલ લખાણ, આસ્વાદ વગેરેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આ યાદી ઘણી લાંબી છે.અને બધા સમાવેશ કરવો મુશ્કેલ છે. પણ તે દિગ્ગજ લેખકો ના પુસ્તકો, વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી, કવિતાકોષ, વિશ્વકોશ, ઈ-પુસ્તકો, વગેરેનો ખુબ સહારો લીધો છે.
આ બધા સાથે સહુથી વધારે ઋણી છું  વેબગુર્જરીના વિશાળ વાચકોનો કે જેમણે આ કૉલમ વાંચી પોતાનો પ્રતિભાવ દર્શાવતા રહ્યા. આપ સર્વે નો ખરા દિલ થી આભાર.
હા, જેનાં ઘરમાં હું રહું છું તેમની સહન શક્તિ ને વંદન સાથે સો સો સલામ. ચારુ વ્યાસ નો ૬૦ વરસ (પ૫ + ૫) નો સાથ છે. “તમારી આ “એક બંદિશ અનેક રૂપ” કોઈ વાંચતું નથી, કેટલો સમય બરબાદ કરો છો”… દર વખતે મને કહે અને છતાં મેં લખે રાખ્યું.
કંઈ નવું સુઝશે અને આ વેબગુર્જરીના માનનીય સંચાલકો સંમત થશે તો ફરી મળીશું.
સપ્રેમ પ્રણામ સાથે નીતિન વ્યાસ

શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.