વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગાંધી અને ટાગોર : એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

    તવારીખની તેજછાયા

    ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થીમ પર આ ટેબ્લો રજૂ કરાયો હતો

    પ્રકાશ ન. શાહ

    કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે.

    ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

    શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા… પાછા આપવાનું નામ જ નથી લેતા!) કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઈતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથેય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

    કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત: ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’ એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

    ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી. આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે: ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

    રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના- અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

    ૧૯૨૨માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો લંડન ટાઈમ્સમાં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

     

    સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા… કે આ ગાંધી?

    એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્્ગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે: ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા… એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી… એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

    મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઈતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઈતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૮ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વાહનો : ભાગ (૨)

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shaha Kala Sampoot – Vehicles Part 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ચોથો: પ્રવેશ ૫   થી આગળ

    સ્થળ : રંગિણી નદીનો કિનારો.

    [ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]

    જગદીપ :  આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.

    (વસંતતિલકા)

    ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત
    એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!
    જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!
    ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫
    અને મારામાંથી પણ પ્રભાત પ્રગટ થતું લાગે છે.

    [સંગીત સંભળાય છે.]

    અહો ! ધ્વનિ શાનો સંભળાય છે? સંગીતનો સ્વર નદીના પટ ઉપર થઈને ચાલ્યો આવે છે. (દૃષ્ટિ લાંબે નાખીને) નદીમાં હોડી છે. તેમાં બે સ્ત્રીઓ છે: એક હંકારે છે અને એક સારંગીના વાદ્ય સાથે ગાય છે. કેવો મધુર કંઠ ! હોડી આ તરફ આવે છે. પણ નદી બાગમાંથી બહાર નીકળે છે ત્યાં નદીના પટ ઉપર ઝૂલતો ઝાંપો છે, એટાલે અહીં સુધી હોડી આવશે નહિ. હું અહીંજ બેસીને સાંભળું. આ ચંબેલીના છોડનો ઓથો છે, તેથી હું નજરે નહિ પડું.

    [નદી પર તરતી હોડીમાં બેઠેલાં વીણાવતી અને લેખા આઘેથી આવતાં પ્રવેશ કરે છે. લેખા હોડી હંકારે છે અને વીણાવતી સારંગી વગાડી ગાય છે.]

    વીણાવતી :

    (ભૈરવી)

    વિનવું, માર્ગ કરો ! વહે મુજ નાવ.
    રોક નદી! તુજ પ્રતિકૂળ સ્રોત તું, આ નાવ સમાવ; વિનવું.
    વાયુ ! ધસે જે વેગ તુજ સામો, નાવ કાજ તે હઠાવ; વિનવું.;
    કાષ્ઠ ! તું તજ આ જડ ભાર તારો, નાવ હલકી બનાવ; વિનવું.
    જાઓ છુટી સહુ સ્થૂલ મુજ બન્ધન, સૂક્ષ્મગતિ ! તું આવ; વિનવું.
    સરલ પથ મન અભિલાષા… … … ૬૬

    જગદીપ :  એકાએક સંગીત બંધ કેમ થયું ? (દ્રષ્ટિ કરીને) અરે ! પણે હોડી ડૂબે છે !(ઊભો થાય છે.)

    [‘કોઈ આવજો વે’ એવે બૂમ સંભળાય છે.]

    હું શી રીતે જઈ પહોંચું ? બાગની આસપાસ તો ઊંચો કોટ છે. હા! નદીના પટ પરનો ઝૂલતો ઝાંપો એક ઠેકાણે તૂટેલો છે ! નદીમાં થઈને એ રસ્તે જાઉં. પાણી ઊંડું આવશે ત્યાં તરીશ.

    [નદીમાં પ્રવેશ કરીને ઉતાવળો જાય છે. હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી ડૂબે છે, અને વીણાવતી અને લેખા પાણીમાં પડે છે. જગદીપ ત્યાં જઈ પહોંચે છે. લેખા તાણાઈને આઘે જાય છે. વીણાવતી પાણીમં નીચે જાય છે, જગદીપ વીણાવતીને ઊંચકી કિનારે લઈ આવે છે અને સુવાડે છે.]

    એણે પાણી પીધું નથી. માત્ર ધ્રાસકાથી બેભાન થઈ ગઈ છે. બાઈ ! બાપુ ! જાગ્રત થાઓ! અહો ! કેવું અદ્ભુત લાવણ્ય!

    (મન્દાક્રાન્તા)

    અંગે અંગે પટ જલ તણું ઝીણું એને વિટાયું,
    ધોળું કેવું ચકચક થતું કાન્તિથી તે છવાયું!
    ચારે પાસે તૃણમય ધરા તેજ-સંક્રાન્તિ પામી
    દીપે જાણે લિલમથિ જડી ભૂમિ પ્રાસાદમાંથી ૬૭

    અને, આ પણ કોઈ પ્રાસાદમાંની જ કોઈ લાવણ્યશ્રી છો. પણ, અરે, આ મૂર્છાગત થયેલી પરવશ સ્ત્રીના અંગનું નીરીક્ષણ કરવું એ યોગ્ય છે ? હું આડી દૃષ્ટિ રાખીને જ એને જગાડવા પ્રયન્ત કરીશ. (આડું જુએ છે) બાઈ ! ઊઠો! }}

    [લેખા ભીને લૂગડે પ્રવેશ કરે છે.]

    લેખા :  હાય ! હાય ! કુંવરીબાનું શું થયું ?(જગદીપને જોઈને અટકીને) તમે કોણ છો ?

    જગદીપ :   હોડી ડૂબતી જોઈને હું મદદે દોડી આવ્યો છું અને આમને મેં પાણીમાંથી બહાર કાઢીને સુવાડ્યાં છે. જુઓ એ હાલ્યાં !

    [લીલાવતી આંખ ઉઘાડે છે.]

    વીણાવતી :      લેખા ક્યાં છે?

    લેખા :  આ રહી. હું તમારી પાસે જ છું.

    વીણાવતી :      આપણે શી રીતે બચ્યાં ?

    લેખા :  હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.

    [વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]

    વીણાવતી :      લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.

    [નોકરો પ્રવેશ કરે છે.]

    લેખા :  (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.

    [નોકરો જાય છે.]

    લેખા :  (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.

    વીણાવતી :      લેખા ! એમ અસભ્ય થવાય ?

    લેખા :  ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?

    વીણાવતી :      એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?

    જગદીપ :        આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.

    લેખા :  એ કેવળ અશક્ય છે.

    [નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]

    લેખા :  (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.

    [વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]

    જાગદીપ :       (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી લેનાર બીજાનું શું થયું તે જોવા ક્યારે ઊભું રહે છે?

    (ચામર)

    હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,
    ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;
    રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,
    મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી? ૬૮.

    એવી લુંટાયાની અવસ્થામાં હું આવ્યો છું ? આજ હું એ કાંઇ નવો કજ ભાવ અનુભવું છું ! પેલું દ્વાર મારે માટે ઉઘડ્યું મારે જવું જ પડશે.

    (વંશસ્થ)

    ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
    ન જાણું મારું લઇ જાઉં સાથ શું;
    બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
    સમેટિ જાણું નહિં તે હું આ ઘડી. ૬૯

    [દ્વારમાં થઈ કોટ બહાર જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • આ દર્પણનું સાચ / ચાલ્યાં જુઓ

    જીતેન્દ્ર જોશી

    અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
    બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
    કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
    વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
    કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
    કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
    કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
    લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
    પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


    મુકુલ ચોકસી

    – ગઝલ –

    બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
    ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

    એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
    ને આ જીવતા માણસો અળગાં રહી ચાલ્યા જુઓ.

    જે તૂટે તે લાકડા જેવુંય તરતા રહી શકે,
    વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

    રાહ જોતાં’તાં સદીથી એક મહેફિલની અમે,
    ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યાં જુઓ.

    કોઇને ગમતાં નહોતાં તેઓ પણ આજે મુકુલ
    અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યાં જુઓ.

  • ફિલ્મી ગઝલો – ૫૦. પંડિત ઇન્દ્ર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    વીતેલા જમાનાના પંડિત કહેવાતા અનેક ગીતકારોમાંના એક હતા પંડિત ઈન્દ્ર.  આખું નામ પંડિત ઇન્દ્ર ચંદ્ર દધિચ. ( એમને યાદ કરતા યાદ આવે ૧૯૩૨ ની ફિલ્મ ‘ ઇન્દ્ર સભા ‘ જેમાં ૭૨ ગીતો હતા ! જો કે એમાં પંડિત ઈન્દ્ર ક્યાંય નહોતા. હા, એમણે એ જ અરસામાં ફિલ્મ પ્રવેશ કર્યો ખરો ! )

    ૧૯૩૩ થી ૧૯૬૮ સુધી પંડિતજીએ ૧૨૮ ફિલ્મોમાં ૯૦૦ થી વધુ ગીતો લખ્યા.  અમારી પેઢીના લોકોએ જ્યારે એમની ૧૯૬૦ ની ફિલ્મ ‘જમીન કે તારે ‘નું ગીત ‘ઓ મેરે પ્યારો ઝમીં કે તારો‘  સાંભળ્યું ત્યારે એમની કારકિર્દી લગભગ અસ્ત થઈ ચૂકી હતી.

    કહેવાય છે, મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્યાંક એમના નામનો કવિવર પંડિત ઈન્દ્ર માર્ગ પણ છે. બહરહાલ, એમની બે ખૂબસૂરત ફિલ્મી ગઝલો જોઈએ :

    માના કે તુમ હસીન હો અહલે – શબાબ હો
    ઇસકા તો કુછ જવાબ દો ક્યું લાજવાબ હો

    તુમ મેરે વર્ક – એ – ઝિંદગી કે પહેલે હર્ફ હો
    કિસ્મત લિખી હૈ જિસમેં તુમ્હી વો કિતાબ હો

    પરવા નહીં ઝમાના કહે તુમકો સંગદિલ
    મેરી નઝર મેં જાને – જહાં આફતાબ હો

    બનકે ગઝલ કે શેર તુમ આઓ ખયાલ મેં
    મૈં હું ખૈયામ ઓર મેરી તુમ શરાબ હો..

    – ફિલ્મ : મૂર્તિ ૧૯૪૫

    – મુકેશ

    – બુલો સી રાની

    ( મુકેશ હજી ત્યારે કુંદનલાલ સાયગલની છાયામાં હતા. સાંભળી જુઓ ! )

     

    જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો
    જિસને ગિરાઈ બિજલીયાં ઉસકો સલામ હો

    દર્દ બન કે આયે ક્યોં આહ બનકે જાએ ક્યોં
    જો લે રહા હૈ ઇમતેહાં ઉસકો સલામ હો

    બિછડા હૈ મુજસે બાગબાં અબ વો કહાં મૈં
    કહાં લાયા બહાર મે ખિઝાં ઉસકો સલામ હો

    બખ્શી હમેં બરબાદીયાં દે ગયે નામુરાદિયાં
    જિસને મિટા દિયા નિશાં ઉસકો સલામ હો..

    – ફિલ્મ : છીન લે આઝાદી – ૧૯૪૭

    – શમશાદ બેગમ

    – હંસરાજ બહલ

     

     

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૨ – भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा

    નિરંજન મહેતા

    ૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નુ આ અતિપ્રસિદ્ધ ગીત બહુ જ સુંદર રીતે જીવનની ફિલસુફી સમજાવે છે.

     

    जीना यहाँ, मरना यहाँ
    इसके सिवा जाना कहाँ
    जीना यहाँ, मरना यहाँ
    इसके सिवा जाना कहाँ

    जी चाहे जब हमको आवाज़ दो
    हम है वहीं, हम थे जहाँ
    अपने यहीं दोनों जहाँ
    इसके सिवा जाना कहाँ

    ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
    ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
    जग को हँसाने बहरूपिया रूप बदल फिर आएगा

    स्वर्ग यहीं, नर्क यहाँ
    इसके सिवा जाना कहाँ

    जी चाहे जब हमको आवाज़ दो
    हम है वहीं, हम थे जहाँ
    अपने यहीं दोनों जहाँ
    इसके सिवा जाना कहाँ

    कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
    कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
    भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा

    https://youtu.be/VhfIebV8yQw

     

    શૈલી શૈલેન્દ્રના શબ્દો છે જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મુકેશનો.

    એક કલાકારનુ જીવન ક્યા પ્રકારનું હોય છે તે અદાકાર રાજકપૂર આ ગીત દ્વારા જણાવે છે. ભલે તે કલાકારને લગતું હોય તો પણ તે આપણને સર્વેને પણ લાગુ પડે છે.

    જેમ એક કલાકાર પોતાની જે કોઈ કારકિર્દી અપનાવે છે તેને અંત સુધી વળગી રહે છે તે જ રીતે આપણે પણ આપણા જીવનધ્યેયને વળગી રહેવું જોઈએ. કારણ આપણી પાસે કદાચ અન્ય કોઈ રાહ ન પણ હોય.

    ગીતમાં આગળ જણાવ્યું છે કે તમે મને યાદ કરશો તો હું અહી જ છું. ભલે હું કાલે નહિ હોઉં તો પણ અન્ય કોઈ મારૂં સ્થાન લઇ લેશે. મારા ગીત સંગીતને તે અપનાવશે અને જુદા જ રૂપમાં જગતને હસાવવા માટે આવી જશે.

    હું ભલે હયાત ન હોઉં અને કદાચ તમે મને ભૂલી જશો પણ હું તો સદાય તમારો છું અને તમારો રહીશ. આ જ વિધાન આપણને પણ નથી લાગુ પડતું?

    કહેવાનો ભાવાર્થ એ જ કે સારા કર્મો કરશો તો લોકો તમને તમારી હયાતી બાદ પણ યાદ કરશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • દરજીડાનો માળો એટલે ઝૂલતું પારણું

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

             બોલો, પ્રજનનની ઋતુમાં નર દરજીડાને બે વધારાના પીંછા પૂંછડી વચ્ચેથી બહાર નીકળે. આમ તો નર અને માદા એમ બંને દરજીડા લગભગ સરખા દેખાય. જેણે પણ આ સૃષ્ટિ બનાવી છે તેણે હંમેશા દરેક જીવમાં કોઈ ને કોઈ ખૂબી મૂકતાં થાક્યા નથી. કેટલી બધી વિવિધતા આ પક્ષી જગતમાં જોવા મળે છે! ખરેખર કુદરત ખુબ અજાયબીઓથી ભરેલું છે.

    દરજીડાનો માળો ખુબ ચોકસાઈ અને ચતુરાઈથી બનાવેલો હોય છે, તેવી જગ્યાએ માળો બનાવે કે તમને દેખાય પણ નહિ.  રૂ,પીંછા,વાળ વગેરે વાપરી પોચી ગાદીની આજુબાજુ પાંદડાથી સિલાઈ કરી દે અને એવી જગ્યાએ થેલી જેવો માળો બનાવે કે છોડના પાંદડામાં ભળી જાય (camouflage). ક્યારેક એક મોટા પાનમાંથી કપ બનાવી પાંદડાની ધારના રેસા, કરોળિયાના જાળાના તાંતણા કે માનવના દોરા વગેરે લઇ રીવેટ મારે તેમ ચાંચનો સોયની જેમ ઉપયોગ કરી ટાંકા લઈલે (અદભુત વિડિઓ, બીજાનો Youtube ઉપરથી આભાર સાથે યોગ્ય સમજ આપવા માટે લીધેલો છે[1]) તમે આશ્રર્ય પામોકે લાંબી ઘાટીલી ચાંચ વડે કેવી રીતે પાનમાં કાણું પાડે અને પાછું ટાંકો લઇ સિલાઈ પણ કરીદે. આ તેની લાંબી ચાંચના ઘાટને લીધે શક્ય છે.  સાથે બીજો વિડિઓ છે તે લેખકના ઘરે જાતે ઉતારેલો વિડિઓ છે જેમાં હજુ બહારથી પડ વાળીને પાન વીંટાળવાના અને સિલાઈ કરવાની બાકી છે. ડમરાંનાં છોડમાં લગભગ ૩ ફૂટની ઊંચાઈ ઉપર તે માળો બનાવેલો છે. તેમાં તે બાજુના લીલા અકલિફાના છોડમાંથી પાન લઇ ચીવટ અને પ્રેમથી સિલાઈ કામ કરશે. સિલાઈ કામ સાથે દોરો છૂટી ન જાય માટે દોરાને  ચાંચથી પહેલી ગાંઠ પણ મારે. માળામાં  ચાર જેટલા ઈંડા મૂકે અને લગભગ એક મહિનાના સમયમાં તે બચ્ચા બહાર આવી જાય. ફેબ્રુઆરી માસથી જૂન મહિનામાં તેમની પ્રજનન ઋતુ હોય. માદા દરજીડો માળો ગૂંથે અને નર દરજીડો તેમના વિસ્તારની બીજા દરજીડાઓથી રખેવાળી કરે.

    પ્રેમ અપાર
        ફરફર ફરકે
            ઝૂલે ઝુલાવે

                              હાઈકુ: જગત.કીનખાબવાલા     

    માળો ઝૂલાની જેમ લટકતો હોય અને બચ્ચા જન્મની સાથેજ હિંચકો મેળવે. માળો અને ઝૂલો બંને એક સાથે. માળાની રચના કેવી અજાયબ  છે, કેટલી અદભુત આવડતથી માળો બનાવે છે! કલ્પના કરોકે શું દરજીડાનો માળો જોઈને માણસને ઝૂલો * બનાવવાની કલ્પના થઇ હશે! તેમની નવી પેઢીને પણ આવી રીતે માળો બનાવતા કેવી રીતે આવડી જતું હશે!* માળો સીવવાની આવડતને કારણે લોકોમાં વધારે જાણીતું છે.

    આ નીલ ગગનના પક્ષીઓ જેનાથી આખું પક્ષી જગત બન્યું છે તે એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ જાતના પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. ભારત વર્ષ અને દક્ષિણ એશિયામાં દરજીડો જોવા મળે છે.

    આપણા જીવનભરનાં સાથી છે આ બધા આપણી આસપાસનાં પંખી. ભારત વર્ષના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી છે. લગભગ ૫ ઇંચ, એટલે કે ૧૩ સેન્ટીમીટરનું આ પક્ષી ખુબ નાનું હોય છે પણ તેની પૂંછડી લાંબી હોય છે. ઊડતી વખતે પૂંછડી સાચવવી ભારે પડતી હોય તેવું ઉડાનમાં દેખાય. પૂંછડીની જેમ ચાંચ પણ લાંબી હોય, પણ હા ભલે દરજીડો નાનો હોય પણ અવાજ ઘણો મોટો કાઢે અને સાંભળનાર મૂંઝવણમાં પડે કે કોઈક મોટું પક્ષી હશે. ખુબજ સ્ફુર્તીલું આ પક્ષી ખુબ આનંદી હોય છે. ચીવ ચીવ , ચી …વીક, ચી…વીક મોટો અવાજ કાઢે.

    ખોરાકમાં બગીચાનાં ઝીણાં ઝીણાં ઈંડા અને ઈયળો તેમજ જીવડાં ખાઈ લે અને તે માટે જમીનથી ખુબજ નજીકની ઊંચાઈ ઉપર એક ડાળીથી બીજી ડાળી ઉપર આ મોજીલાં પક્ષી ઉડતા હોય અને ઠેકડા મારતા હોય જે જોવાનો ખુબ આનંદ આવે. જો એક બાજુ બેસીને તેને ખલેલ પાડ્યા વગર બેસીને જુવો તો ખુબ નયનરમ્ય લાગે. તેના ખોરાકના લીધે તે માનવને ઉપયોગી થાય છે અને તેના કારણે ખેતર અને બગીચામાં દવાઓ ઓછી વાપરવી પડે.

    રંગ મિજાજ                 
      મોજીલો દરજીડો
           નયન રમ્ય

               હાઈકુ: જગત.કીનખાબવાલા

    તે રંગે રૂપે ઘણો રૂપાળો દેખાય. ઉપરના ભાગે પિસ્તાઈ લીલાશ પડતો પીળો, કપાળ અને તાલકું રતુમ્બડા અને બાકીનું માથું અને બાજુઓ આછા રાખોડી રંગના હોય. તેને ગાળાની બંને બાજુ નાનો ઘેરો ડાઘ હોય જે તે ગાળું ફુલાવી બોલે ત્યારે દેખાય. તેના પેટનો ભાગ ધૂંધળો સફેદ હોય તેમજ સાથળ અને પાંખો સુંદર બદામી લીલાશ રંગ ઉપર જાય. નાનું, પણ ધ્યાન આકર્ષક દેખાવડું પક્ષી છે. સુંદર કાળી ગોળ કિકી હોય છે જેની બહારની બાજુ ઘેરાં કથ્થઈ રંગની રિંગ હોય. તેના પગ ઘણાં મજબૂત હોય છે.

    [1]


    સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

    Love – Learn  – Conserve


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : રૂખડો

    ગિજુભાઈ બધેકા

    વાર્તામાં રૂખડા ઝાડનું નામ સાંભળેલું. સોનબાઈની વાર્તામાં આવે છે કે–

    “વધ વધ રૂખડા વધી જજે.”

    મને તો થતું કે રૂખડો આકાશ જેટલો ઊંચો હશે.

    વીશ વર્ષનો થયો ત્યાં સુધી મેં રૂખડો ભાળેલો નહિ; પણ એક વાર ઘોઘા ગયો અને રૂખડો દીઠો. હું તો નવાઈ જ પામી ગયો. રૂખડો ઊંચો નહિ પણ સારી પેઠે નીચો; ઠીંગણો. પણ એટલો બધો જાડો કે બસ ! માત્ર જાડો, પણ ઊંચો નહિ; માત્ર થડ પરંતુ ડાળોવાળો ને પાંદડાંવાળો નહિ. એટલે રૂપાળો લાગે નહિ. અને જાડો તે કેટલો બધો ? બારતેર જણા હાથના આંકડા ભીડી ભીડીને ઝાડ ફરતા ઊભા રહ્યા ત્યારે માંડ થડ બાથમાં આવ્યું.

    જાડા, ઠીંગણા, કદ્રૂપા સીદી જેવો રૂખડો કોઈ કહે તો ના ન કહેવાય. રૂખડો મૂળે ય આવેલો છે આફ્રિકાથી. જૂના વખતના આફ્રિકાના મુસાફરોએ અહીં આણ્યો હશે. દરિયાકિનારો તેને બહુ ભાવે છે.

    મેં એને કરૂપ રૂખડો કહ્યો, પણ ચિત્રકારને મન તે નવીન અને સુંદર લાગે છે. થડ અને ડાળીઓ જરૂર ચિત્રકાર ચીતરી લે. ઝાડોમાં વિચિત્ર ઝાડ વિચિત્રતાને કારણે જ રૂપાળું લાગે.

    થડમાં ખાડા ખાડા પાડીને છોકરાઓ રૂખડા ઉપર ચડે છે. ચાર પાંચ જણા એક સાથે ચડતા હોય ત્યાં સુધી એકબીજાને ખબર ન પડે કે કોણ ચડે છે.

    કાઠિયાવાડના ચાંચ બેટમાં એક મોટો જબરો રૂખડો છે. તેના થડમાં એવી પોલ છે કે તેમાં એક ગાડું સમાઈ જઈ શકે !


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે:

    રૂખડો (ગોરખ આમલી)  : ગુજરાતી વિશ્વકોશ

  • પહોંચવું હોય ત્યાં જ પહોંચવાની તૈયારી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે.

    ક્યારેક નાનકડી ઘટના જિંદગીને જુદી રીતે જોવાની તક આપે છે. કોઈક ફિલ્મ, કોઈક સ્મૃતિ, એકાદ પુસ્તક, કોઈક નાનકડું વાક્ય, પ્રવાસની કોઈ ક્ષણ. ક્યારેક અન્ય વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાથી પણ આપણામાં નવી દૃષ્ટિ કે સમજણ ફૂટી નીકળે છે. એ બધું સૂચવે છે કે જીવનમાં કશુંય ફાઇનલ હોતું નથી. આપણાં વિચાર, અભિગમ, માન્યતાઓ, જીવનદૃષ્ટિ સદા પરિવર્તનશીલ હોય છે. શરત એટલી જ હોય કે તે માટે આપણે આપણાં હૃદય, બુદ્ધિ, આંખ-કાનને ખુલ્લાં રાખ્યાં હોય, આપણે કોચલામાં પુરાઈ ગયા ન હોઈએ.

    માનવજીવનની ટ્રેજેડી મૃત્યુ નથી, આપણે આપણી ભીતરનું સત્ત્વ કેટલીય વાર મરવા દઈએ છીએ તે ભયાનક ટ્રેજેડી છે. માણસ એનામાં રહેલી ક્ષમતા અને એ જે બન્યો તે વચ્ચેના તફાવતનો હિસાબ લગાવે ત્યારે જ એણે પોતાની જિંદગીનું શું કરી નાખ્યું તેનો અંદાજ આવે છે. આવરદા પૂરી કરી નાખવી એક વાત છે અને ‘જીવવું’ બીજી વાત છે. આપણી આસપાસ કેટલાય લોકોને અફસોસ કરતા સાંભળીએ છીએ કે તેઓ જીવનમાં કરવા માગતા હતા તે  કરી શક્યા નહીં. સંજોગો જુદી વસ્તુ છે અને ક્ષમતાનો અપૂરતો ઉપયોગ બીજી બાબત છે. એવા લોકોએ એમની ભીતર રહેલા ખજાનાને ખોઈ નાખ્યો હોય છે. સમય જતાં તે ખજાનાને કાટ લાગી જાય છે અને તેને ખોલવાની ચાવી ખોાવાઈ ગઈ હોય છે.

    લોકો તેઓ શું કરવા માગતા હતા અને શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, તે વિશે સભાન થાય ત્યારે એમનામાં પોતે ક્યાંક ઘસડાઈ ગયા છે, પહોંચવું હતું ત્યાં પહોંચી શકાયું નથી, જીવન ધ્યેયહીન થઈ ગયું છે એવી લાગણી જન્મે છે. એમણે સામે પૂર તરવાને બદલે એમાં તણાઈ જવાનું પસંદ કર્યું હોય છે. મોટે ભાગે એવી પસંદગી એમની પોતાની જ હોય છે. પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકાવાની ક્ષમતા ધરાવે છે. ઘણી વાર ખોટી જગ્યાએ પહોંચ્યા પછી પાછા વળવાની શક્યતા ભૂંસાઈ ગઈ હોય તેવું પણ બને. નવેસરથી શરૂઆત કરવાની તક રહી ન હોય. એમણે બહુ પહેલાં એમના જીવનનો હેતુ ગુમાવી દીધો હોય છે. એમનામાં મોટિવેશન હોતું નથી. ‘હોવાપણા’નો અર્થ ગુમાવી દીધા પછી હતાશા અને પરાજયની કારમી લાગણી કોરી ખાય છે.

    ઘણા લોકો કોઈ પડકારભર્યું કામ શરૂ કરતાં પહેલાં એમાં આવનારી અડચણો વિશે વિચાર કરે છે. તેઓ બચાવ કરવા માટે પોતે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વાસ્તવિકતાનો વિચાર કરે છે તેવું આકર્ષક બહાનું આગળ ધરે છે. પાછળથી પાછા વળું પડે તે કરતાં આગળ જવું જ નહીં એ અભિગમ વ્યવહારિક વલણ લાગે, પરંતુ તે પલાયન પણ હોય છે. તે નકારાત્મક અભિગમ છે. સકારાત્મક વલણ ધરાવતા લોકો કહેશે કે જીવનમાં આપણે ધારેલી દિશામાં આગળ વધવા માટે સંભવિત અવરોધોની આગોતરી કલ્પના કરવાને બદલે કામ શરૂ કર્યા પછી જે અવરોધ ઊભો થાય તેમાંથી રસ્તા કાઢવાના ઉપાય વિચારવા જોઈએ.

    ઘણા પલાયનવાદી લોકો એમનામાં રહેલી ક્ષમતાનો ક્યાસ કાઢવાને બદલે પોતાના સંજોગોને આગળ ધરશે, માથું ધુણાવતા બોલશે: ના, અત્યારે મારા સંજોગ નથી. જો તે વાત માત્ર બહાનાબાજી જ હોય તો તેઓ આખી જિંદગી સંજોગોના ઢગલા નીચે જ દબાઈ રહેવાના છે, કારણ કે સંજોગ જાતે ખસતા નથી, તેને ધક્કા મારીને દૂર કરવા પડે છે. માણસ પોતે જ મલબો બની જાય તે પહેલાં એણે માર્ગમાં આવતા મલબાને ખસેડવો પડે. એક હિંમતવાન વ્યક્તિએ કહ્યું હતું: ‘પહેલાં તો હું મને ઘેરી વળેલી મુશ્કેલીને ચારે બાજુથી તપાસું છું. એની ઉપરથી કે નીચેથી કે બાજુમાંથી બહાર નીકળવવાનો રસ્તો મળે નહીં તો હું સામી છાતીએ મુશ્કેલ પરિસ્થિતિ પર પ્રહાર કરું છે. વધારેમાં વધારે શું થશે? હું તૂટી જઈશ અથવા મુશ્કેલી ભાંગીને ભૂકો થઈ જશે. પરંતુ મારો અનુભવ છે કે હું તૂટ્યો નથી, દરવખતે મુશ્કેલીનો જ ભૂકો થયો છે.’

    કેટલાક લોકો એમની ઘરેડમાંથી બહાર નીકળી પરિવર્તન માટે તૈયાર હોતા નથી. એમને બંધાયેલી ઘરેડની સુરક્ષિત દીવાલ વચ્ચે બંધિયાર થઈને રહેવું ગમે છે. મોટાં મોટાં પરિવર્તન આપણે નાનાં નાનાં પરિવર્તનો માટે કેળવેલી આદતમાંથી શક્ય બને છે. ઘણા લોકો ઘરેડ બદલવાનો વિચાર કરે છે, પોતે જ્યાં હોય તેનાથી કશુંક જુદું કરવા માગતા હોય છે, પરંતુ તે ‘જુદું’ એટલે શું તેની એમને ખબર હોતી નથી. કઈ જગ્યાએ જવા માગીએ છીએ તે નક્કી કર્યા વિના પ્લેટફોર્મ પર ઊભેલી કોઈ પણ ટ્રેનમાં બેસી જવાનો અર્થ નથી. જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને પૂછીએ કે એ એમની જગ્યાએ કેવી રીતે પહોંચી શક્યા ત્યારે સંભવત: એમનો પહેલો જવાબ હશે – કારણ કે મેં મારી જગ્યા સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. વાત યોગ્ય ટ્રેનની ટિકિટ બુક કરાવવાની  છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પરંપરાને હળવેકથી પડકારતાં લોકોનું ધ્યાન દોરાય, બસ! બીજું કશું નહીં

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવજીવનમાં કળાનું સ્થાન સંસ્કૃતિ વિકસી એ પહેલાંનું છે, જેની સાહેદી ગુફાચિત્રો પૂરે છે. કળાનું શાસ્ત્ર વિકસતું ચાલ્યું, તેનું બજાર ઊભું થયું એટલે એક યા બીજા કારણોસર તે ચર્ચામાં રહેવા લાગી. વચ્ચે એક આખા અરસા દરમિયાન ‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ના મુદ્દે અનેક વિવાદ થતા રહ્યા. હજી એક મોટો વર્ગ માને છે કે કળા એ ‘ભર્યા પેટના ચાળા’ છે, અને જીવનમાં કળાનું સ્થાન હોવું વૈભવ સમાન છે, જે મોટા ભાગના લોકોને પોષાતો નથી. ઊંચા દામે વેચાતી કળાકૃતિઓ અહોભાવ કરતાંય વધુ કુતૂહલનો વિષય મનાય છે. આમ હોવા માટે કળાકૃતિની વિશેષતા નહીં, તેની બોલાયેલી ઊંચી કિંમત કારણભૂત હોય છે.

    થોડા સમય અગાઉ આ કટારમાં ફ્રાન્‍સના ખ્યાતનામ લુવ્ર મ્યુઝિઅમમાં રખાયેલી જગવિખ્યાત કૃતિ ‘મોનાલીસા’ પર બે મહિલાઓએ સૂપ ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હોવાની વાત આલેખાઈ હતી. હવે જર્મનીના મ્યુનિકમાં આવેલા ‘પીનાકોથેક ડેર મોડર્ને’ મ્યુઝિઅમમાં જરા જુદા પ્રકારની ઘટના બની છે, જેણે વિવિધ પ્રત્યાઘાત જન્માવ્યા છે. આ મ્યુઝિઅમના ‘મોડર્ન એન્ડ કન્‍ટેમ્પરરી’ વિભાગમાં એન્‍ડી વોરહોલ, પૉલ ક્લે સહિત અનેક મહાન કલાકારોનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ વિભાગના પ્રવેશ પાસે એક દિવસ સાવ નવું જ ચિત્ર મૂકાયેલું જણાયું. મુલાકાતીઓ એ ચિત્ર જોઈને નવાઈ પામતા, અને એ ચિત્રનું શિર્ષક કે તેના કલાકારનું નામ સૂચવતી નિશાની ન મૂકાયેલી હોઈને મૂંઝવણ અનુભવતા. આખરે મ્યુઝિઅમના સત્તાવાળાઓના ધ્યાને આ ચિત્ર આવ્યું. તપાસ ચાલી અને એમાં બહાર આવ્યું કે આ ચિત્ર કોઈ મહાન કલાકારની કૃતિ નથી, બલ્કે મ્યુઝિઅમના એક ટેક્નિશિયન કર્મચારીએ જ જાતે ચીતરીને એ ગોઠવી દીધું હતું. પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરવાનું આનાથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોઈ શકે એમ વિચારીને તેણે આ પગલું ભર્યું હતું. આ હકીકતની જાણ થતાં એ કૃતિને ઊતારી લેવામાં આવી અને કર્મચારીને પાણીચું પકડાવીને મ્યુઝિઅમની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અદાલતી દાવો માંડવામાં આવ્યો. મ્યુઝિઅમમાં તેના માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી.

    સામાન્ય ગણાતી આ ઘટનાએ વિશ્વભરનાં કલાવર્તુળોમાં ચર્ચા જગાવી છે. સાથોસાથ કેટલીક વધુ વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાની જાણ થઈ એ સાથે મ્યુઝિઅમના સત્તાવાળાઓએ તેને ‘નાનકડી છેતરપિંડી, મામૂલી બાબત’ ગણાવી. એ પછી બહાર આવ્યું કે હકીકતમાં આ મ્યુઝિઅમમાં ‘ગ્લીચ:ધ આર્ટ ઑફ ઈન્‍ટરફીઅરન્‍સ’[1] નામે એક પ્રદર્શન ચાલી રહ્યું છે, જે તેના નામ મુજબ, કળામાં થતી ભૂલો અને રહી ગયેલા દોષને કેન્‍દ્રમાં રાખીને યોજાયું છે. તેના કેટલોગમાં જણાવ્યા અનુસાર પ્રદર્શનનો હેતુ ‘માપદંડના આદર્શો અને સામાજિક-રાજકીય અસમાનતાને ઉજાગર કરવાનો’ તેમજ ‘જે અદૃશ્ય છે તેને દૃશ્ય કરવાનો’ છે. આ આખા ઘટનાક્રમને અનુસરનાર એક વ્યક્તિએ જણાવ્યું: ‘પ્રદર્શનમાં ચિત્રને ઘૂસાડવાનો હેતુ એ જોવાનો હતો કે મ્યુઝિઅમના સત્તાવાળા પોતે જે કહે છે એના અમલ માટે સજ્જ છે કે કેમ. એ એક પ્રકારનો કળાકીય પડકાર હતો. ચિત્રને ટીંગાડનાર ટેક્નિશિયન કંઈ પ્રસિદ્ધિનો ભૂખ્યો નહોતો.’

    પ્રદર્શનનાં નિયોજકે કહ્યું કે આ પ્રદર્શનના નિયોજને પોતાને અપૂર્ણતા અને અકસ્માતને સ્વીકારતાં શીખવ્યું છે. પૂર્ણ શું એ નક્કી કરે કોણ? દુર્ઘટનાઓ સાથે કામ પાર પાડતાં અમુક અંશે શાંતિનો ભાવ કેળવાતો જાય એ શક્ય છે. જો કે, મ્યુઝિઅમના સત્તાવાળાઓ માટે ‘શાંતિનો ભાવ’ કેળવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે બવેરિયન રાજ્યની તમામ ચિત્ર ગેલરીઓના સંગ્રહમાં આ કર્મચારીના કોઈ પણ ચિત્રને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. ‘નકલખોરીના ગતકડાને પ્રોત્સાહન ન આપવાના’ ભાગરૂપે સત્તાવાળાઓએ એ કર્મચારીનું નામ સુદ્ધાં જાહેર કર્યું નથી. તેમણે આ ચેષ્ટાને ‘કળાકીય હસ્તક્ષેપ’ નહીં, પણ ‘વિશ્વાસનો ભંગ’ ગણાવ્યો.

    જર્મનીના બોન શહેરમાં ગયે વર્ષે યોજાયેલા એક ચિત્રપ્રદર્શનમાં પણ કંઈક આવી જ ઘટના બનેલી. ‘હુ વી આર- રિફ્લેક્ટિંગ અ કન્‍ટ્રી ઑફ ઈમિગ્રેશન’ નામના પ્રદર્શનના અંતે સત્તાવાળાઓના ધ્યાને એક વધારાનું ચિત્ર આવ્યું. તેમણે આ આખી ઘટનાને હળવાશથી લીધી અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર સંદેશો વહેતો મૂક્યો: ‘અમને આ રમૂજી લાગે છે અને આના કલાકારનું નામ જાણવું અમને ગમશે. એને કશી તકલીફ નહીં પડે, બલ્કે શાબ્દિક સન્માન પ્રાપ્ત થશે. આથી અમારો સંપર્ક કરો.’ આ જાહેરાતને પગલે ડેનાઈ એમાન્યુઆલીસ નામની કલાકાર આગળ આવી. તેણે જોયું કે પોતાનું ચિત્ર કોલોનમાં યોજાયેલી એક હરાજીમાં ૩,૬૯૬યુરોની બોલીમાં વેચાયું.

    અગાઉ બેન્‍ક્સી નામના કલાકારે પણ પોતાના એક ચિત્રને હરાજીમાં મૂકીને, તે ઊંચી બોલીમાં વેચાયા પછી એ ચિત્રની અંદર મૂકેલા શ્રેડરની રચનાથી તેને નષ્ટ કરી દીધું હતું. એ રીતે તેમણે કળાજગતમાં વ્યાપેલા આર્થિક મૂલ્યાંકનના અપ્રમાણસર દૂષણ સમક્ષ લોકોનું ધ્યાન દોર્યું હતું.

    આ તમામ ઘટનાઓના મૂળમાં કળાના ક્ષેત્રે પ્રવેશી ગયેલા, જામીને જડ થઈ ગયેલા નાણાંના દૂષણનો મુદ્દો સામાન્ય છે. આની સામે એક હકીકત એ પણ છે કે હરાજીમાં ગમે એવી ઊંચી બોલીએ વેચાયેલા ચિત્રની આવકમાંથી તેના કલાકારને ભાગે કશું આવતું નથી, કેમ કે, એ ચિત્ર તેના સંગ્રાહકની માલિકીનું હોય છે. સમગ્રપણે જોઈએ તો કળા હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર, બધે જ નાણાંની, જામી ગયેલી પરંપરાની સમસ્યા વ્યાપ્ત છે. તેના વિરોધ માટે આવો એકલદોકલ સૂર ક્યારેક ઉઠે છે ખરો, પણ પથ્થર મારવાથી તળાવના પાણીમાં થતાં વલયથી વધુ તેની અસર રહેતી નથી. એ પણ આપણા સમાજનું જ પ્રતિબિંબ કહી શકાય.


    [1] સાંદર્ભિક વિડીયો ક્લિપ નેટ પરથી | સ્રોત: Chipmunk walkthrough of Glitch: The Art of Interference at the Pinakotheka der Moderne, Munchen, De

     


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨– ૦૫ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)