નીતિન વ્યાસ

“कभी-कभी इंसान की मौत इतनी जिंदा हो जाती है कि
उसकी जिंदगी को भी अपनी रोशनी से पुनरुज्जीवित कर देती है।

ફારસી સૂફી ઔલિયા અલ- હલ્લાજ મન્સૂરનું નામ માનવતાના ઇતિહાસ માં બે બાબતો માટે પ્રવેશ્યું છે. એક તેની રુબાયત (ચોપાઈ) અને બીજી તેનું મૃત્યુ.

એવા ઘણા ઔલિયાઓ હશે જેમણે નિર્ભયતાથી “અનલહક” ની ઘોષણા કરી હતી, પરંતુ આ નક્કર સત્ય  માટે તેના શરીરને કાપી નાખનાર એક જ હતો: “મન્સૂર” આ ભયાનક, અમાનવીય મૃત્યુને કારણે, તેનું સૌથી અગત્યનું બયાન “અનલહક” આજે પણ  દશે દિશાઓમાં ગુંજન કરે છે

આદિ શંકરાચાર્યએ પણ “અહમ બ્રહ્માસ્મિ” ના મહાવાક્યની ઘોષણા કરી  ત્યારે સહિષ્ણુ, ઉદાર વિચારધારાવાળા હિંદુ ધર્મે તેમની સરાહના કરી હતી.

મન્સૂર અલ-હલ્લાજનો જન્મ સન ૮૫૭ પર્શિયામાં મુસ્લિમ માતાપિતાને ત્યાં થયો હતો.  તેનો ઉલ્લેખ ફારસી અને તુર્કીના પુસ્તકોમાં જોવા મળે છે. તે અરબી ભાષામાં લખતો હતો.”હલ્લાજ” એટલે ઘેટાનાં શરીર પરથી ઉન ઉતારવાનો ધંધો કરનારા. મન્સૂરના પિતાનો આ વ્યવસાય હતો અને મન્સૂરે પણ આ જ વ્યવસાય અપનાવ્યો હતો. જન્મથી સુન્ની હોવાના કારણે મન્સૂરનું હૃદય ખૂબ જ શુદ્ધ હતું. તે રમઝાનમાં ઉપવાસ રાખતો હતો અને હજ દરમિયાન સંપૂર્ણ મૌન પાળતો હતો જેથી તે પોતાના દિલની અંદરથી અલ્લાહનો અવાજ સાંભળી શકે,

અને તે હતો તેના દિલમાં બેઠેલા અલ્લાહ નો અવાજ “અનલહક”.

જાહેરમાં ધાર્મિક વાર્તાલાપ કરતા કોઈક વિચારથી બોલતા બંધ થઈ અનલહકનું  રટણ શરુ કરી દે. પોતાના મનની વાત જાહેરમાં કહેવાથી પોતે અલ્લાહે આપેલી ફર્જ અદા કરી રહ્યો છે એવું તે દ્રઢપણે માને. “તારા કાબા અને મક્કાને ખત્મ કરી અલ્લાહ ને  પામવા  તારી ભીતરમાં રહેલા અહમ અને નફરતના કચરાને સાફ કરી તે જગાને અઢળક અવિરત પ્રેમ થી ભરી દે. ત્યાં તને તારો ખુદા મળશે;”

મન્સુરે પોતાના ગુરુ જુનૈદ પાસે મન નું સમાધાન કરવા વાત કરી કે “અનલહક” કહેતાં તે પોતાની જાતને રોકી નથી શકતો. જુનૈદે સલાહ આપતાં કહ્યું કે તારી વાત કદાચ સાચી હશે પણ તું  જાહેરમાં ન કહેતો. આ લોકો તને જીવવા નહિ દે.

પણ મંસૂર પોતાની જાતને “અનલહક” ના નારા લગાવતા રોકી શક્યો નહીં. બગદાદ ના ખલીફાએ મંસૂર સામે ફતવો જાહેર કર્યો અને તેને જાહેરમાં મોતને ઘાટ ઉતારવાની સજા  કરી.

મંસૂર નો બેરહમીથી જાહેરમાં ખુલ્લેઆમ  વધ કરવામાં આવ્યો  સુન્ની સંપ્રદાય આ ઘટનાને મન્સૂરની આધ્યાત્મિકતાના અંતિમ શિખર તરીકે જુએ છે. વધસ્તંભે ચડેલા મન્સૂરના મુખમાંથી ગગનભેદી અવાજ નીકળ્યો “અનલહક”. તારીખ હતી ૨૬ માર્ચ ૯૨૨.; પ્રથમ તો મંસૂરને  ગામના ચોરા વચ્ચે બાંધ્યો. ભેગી  થયેલી મેદનીમાં દરેક ને મંસૂર પથ્થર મારવાનો હુકમ થયો.. મંસૂરનું શરીર લોહીલુહાણ થતું ગયું, પણ દરેક પથ્થર વાગતાં તે હસતો અને અનલહક બૂમો પાડતો રહ્યો. તેને જોયું કે પથ્થર મારવાની હરોળમાં જુનૈદ પણ હતો. જુનૈદે પથ્થર ની બદલે મંસૂર પર એક ફૂલ ફેંક્યું. અને એ દરેક પથ્થર વાગતા હસતા મંસૂર ની આંખ ભરાઈ આવી, “અરે આ લોકો તો અજ્ઞાની છે  અને તું તો મને જાણે છે, તું પણ….” વધસ્તંભ પર જડાયેલો મંસૂર અહીં એક વખત રડ્યો.

મંસૂરની હત્યા તેના  શરીરની  બોટી બોટી કાપી ને કરવાં આવી હતી. આ બધા સમય તે હસતો રહ્યો, ” તમે મને નહીં પણ પરમેશ્વરને મારી રહ્યા છો જે મારી અંદર બેઠો છે”. તે બૂમો પાડી કહેતો રહ્યો,  જ્યાં સુધી તેની જીભ નહોતી કપાઈ ત્યાં સુધી અનલહક નું રટણ તેનું ચાલુ હતું.

“અગર હૈ શૌક મિલનાકા તો હરદમ લૌ લગતા જા”. મંસૂર લખેલી રુબાયાં એકઠી  કરી બનેલી અન્ય રચનાઓ પૈકીની એક રચના છે.  જોકે મન્સુરને અરબી/ફારસી સિવાય બીજી ભાષાઓ જાણતો હોય તેવી નોંધ મળતી નથી. તેણે ભારતની યાત્રા કરેલી અને  મનના સમાધાન માટે હિન્દુ ધર્મગુરુઓને મળેલો. કદાચ તે સમયે તેની મૂળ ફારસી રચનાનો હિન્દી મિશ્રિત ઉર્દુ તરજુમો થયો હોય. મન્સુરે સ્વહસ્તે કોઈ પુસ્તક કે કવિતા લખી નથી. તેની રુબાઈના સંગ્રહો બહાર પડ્યા છે. “અગર હૈ શૌક મિલનાકા” એવાં જ એક “તવાસીન” પુસ્તકમાંથી  મળી આવે છે.

શબ્દાંકન અહીં પ્રસ્તુત છે:

अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,
जला कर खुद्नुमाई को, भसम तन पर लगता जा,

पकड़कर इश्क की झाड़ू, सफा कर हिज्र-ए-दिल को,
दुई की धूल को लेकर, मुसल्ले पर उड़ाता जा।

मुसल्ला छोड़, तस्बी तोड़, किताबें डाल पानी मे,
पकड़ दस्त तू फिरस्तों का, गुलाम उनका कहाता जा,

न भूखा मर, न रख रोज़ा, न जा मस्जिद, न कर सजदा,
वजू का तोड़ दे कुजा, शराब-ए-शौक पीता जा,

हमेशा खा, हमेशा पी, न गफलत से रहो एकदम.
नशे में सैर कर अपनी, ख़ुदी को तू जलाता जा।

न हो मुल्ला, न हो बह्मन, दुई की छोड़कर पूजा,
हुकम है शाह कलंदर का, ‘अनलहक़’ तू कहाता जा,

कहे मंसूर मस्ताना, हक मैंने दिल मे पहचाना,
वही मस्तों का मयखाना, उसी के बीच आता जा…

– मंसूर

लौ : प्यार की ज्योत  ;            खुदनुमाई : अहंकार:          मुसल्लेह : नमाज़ पढ़ने की चटाई.

 तस्बीह : माला ;                 अनलहक़: अहम् ब्रह्मास्मि;               हक : प्रभु प्रेम.

शराबशौक : इश्वर्य प्रेम का नशा (चाह);              दुई : द्वैत, दो, भिन्नता.

મન્સૂરની શહાદત પછી તેમની કીર્તિની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૂફીઓએ તેમના પુસ્તકોમાં મન્સૂરના બલિદાનને સૂફીવાદની સર્વોચ્ચ સિમા- શીર્ષબિંદુ. તરીકે નોંધ્યું છે.

શ્રી ચંદ્ર મોહન જૈન – “રજનીશ” અથવા “ઓશો” નાં  વાર્તાલાપ માં મંસૂર હલ્લાજ ઉલ્લેખ વખતોવખત સાંભળવા મળે છે. રજનીશજી સાથે અન્ય વિદ્વાનો પણ કહેછે કે જો ઈસ્લામ પંથી અને તેના રખેવાળો એ મંસૂર ની વાત અનુસરી હોત તો ધાર્મિક યુદ્ધો ન થાય હોતે અને તેનાં અનુયાયીઓ આટલા ઝનૂની ન હોત.

મંસૂર હલ્લાજ નાં જીવન અને  મરણ વિશે ઓશો નો વાર્તાલાપ સાંભળવા જેવો છે:

સાંભળીયે આ સૂફી સંગીત ની અણમોલ પ્રસ્તુતિ જુદા જુદા કલાકારો ના અંદાજ માં:

સાલ ૨૦૧૨માં “ઉપનિષદ ગંગા”  ચિન્મય મિશન અને ક્રિએશન ના ઉપક્રમે ટીવી સિરીઝ પ્રસ્તુત થયેલી. તેના દિર્ગદર્શક અને લેખક હતા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી.  ચંદ્રપ્રકાશજીએ આ પહેલાં “ચાણક્ય” બનાવી હતી. આ બંને માં સંગીત શ્રી આશિત અને આલાપ દેસાઈ નું હતું.

પ્રસ્તુત છે. શ્રી આશિત દેસાઈ નાં કંઠે ગવાયેલ, શ્રી આલાપ દેસાઈ ની સંગીત રચના રાગ મિશ્ર ભૈરવી:

“अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,”

વૃંદાવનના રસિક સંત અને વિખ્યાત ભજનિક  પૂ. નારાયણ સ્વામી

નેધરલેન્ડ – ડચ બેન્ડ   “Agaraga”  ની પ્રસ્તુતિ

અમેરીકન આધ્યાત્મિક વિષય પર ની લેખિકા શ્રીમતી શેરોન જેનિસ “જાનકી”

એક  જુદા અંદાજ કલકતાની પંડિત અજય ચક્રવર્તી સ્કૂલ નાં શ્રી દેવલીના ચક્રવર્તી ની પ્રસ્તુતિ

કબીર રચિત નિર્ગુણ ભજન ના ગાયક  ગાયક પદ્મશ્રી પ્રહલાદસિંહ ટિપણીયા

વનસ્થલી, રાજસ્થાનના પ્રસિદ્ધ ગાયક પંડિત હનુમાન સહાય

ભજનિક શ્રી મૌકત સિંહ યાદવ

જાલંધર શીખ સમુદાયના ગુરુ કીર્તનકાર ભાઈ શ્રી ગુરુમિતસિંહજી

આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજ નુ પ્રવર્ચન

મુંબઈ સ્થિત પ્રસિદ્ધ ગાયક શ્રી જગદીશ સ્વાદિયા

શ્રી સુરેશસ્વરાનંદજી ના  હરદ્વાર સત્સંગ ની પ્રસ્તુતિ

ઋષિ ચૈતન્ય આશ્રમ, ગન્નુર, સોનીપત, હરિયાણા સ્થિત શ્રી આનંદમૂર્તિ ગુરુમા (મૂળ નામ શ્રી ગુરુપ્રીત કૌર ગોહર) નો વાર્તાલાપ:

પ્રસારણ મુસ્તફા ટીવી, ઢાકા

સૂફી અને સૂફીવાદ: ચડ્યું પૂર મધરાતનું ગાજે ભર સૂનકાર. – નાનાલાલ

સૂફીવાદ : ઈસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેનારા, જન્નત(સ્વર્ગ)માં નહીં માનનારા, ખુદાની સાથે એક બની જવા તમામ સાધનાઓ કરવા તૈયાર, ઇશ્કને ખુદાને હાંસલ કરવાનું સર્વોચ્ચ સાધન માનનારા અને વૈરાગ્યભાવનાથી સંસારનો ત્યાગ કરનારા છે.

સૂફીવાદના પ્રથમ પ્રવર્તક પ્રથમ મતે આદમ, બીજા મતે મહંમદ પયગંબર અને ત્રીજા મતે ચોથા ખલીફા અલી હતા. કટ્ટર ઇસ્લામ-ધર્મીઓ સૂફીવાદને ઇસ્લામથી વિરુદ્ધ માની તેની નિંદા કરે છે, કારણ કે સૂફીવાદની કેટલીક માન્યતાઓ અલગ છે. નમાજ, રોજા, હજ વગેરે ધાર્મિક આચારોને કટ્ટર ઈસ્લામ આવશ્યક માને છે, જ્યારે સૂફીવાદ આવા આચારોને બદલે સફા (પવિત્રતા) અને આંતરિક યાત્રા (સફર) પર વધુ ભાર મૂકે છે. ‘કુરાન’નો અલ્લાહ બધી વસ્તુઓથી ચઢિયાતો, ઇન્સાનથી અલગ અને સર્વસત્તાધીશ છે. સૂફીવાદનો અલ્લાહ બધી વસ્તુઓ અને ઇન્સાનમાં રહેલો એટલે સર્વવ્યાપી છે. વળી ‘કુરાન’નો અલ્લાહ ખુદા અને રૂહ(આત્મા)ને એક જ માનતો નથી; સૂફીવાદ ખુદા અને રૂહને એક જ માને છે. તેથી તેમનો સિદ્ધાન્ત ‘અનલહક’ (હું ખુદા છું) એવો છે. સૂફીવાદ ખુદાને ઇશ્કથી હાંસલ કરી શકાય એમ માને છે.

આઠમી સદીમાં થયેલા અબુદર્દા, ઉસમાન બિન માજુન, ઇબ્રાહીમ, બિન આદમ તથા રાબિયા જેવા પ્રાચીન સૂફીવાદીઓ ઇશ્ક, દેહદમન, સંસાર તરફ વિરક્તિ તથા નિવૃત્તિ પર ખૂબ ભાર મૂકતા હતા. એ પછી માસફુલ, અબુ સુલેમાન, જુન્નુન, યજિદુલ્લ બિસ્તાની વગેરે નવમી સદીના સૂફીઓએ ‘અનલહક’ના સિદ્ધાન્તની ઉચ્ચ ભૂમિકા સૂફીવાદને આપી. ઈ. સ. ૯૨૨ માં મનસૂર નામના સૂફીએ ‘અનલહક’નો જોરદાર પ્રચાર કર્યો તેથી કટ્ટર ઇસ્લામીઓએ તેમને કાફિર ઠરાવી બગદાદના ખલીફા પાસે મોતની સજા અપાવી. 11મી સદીમાં બગદાદના નિઝામિયા મદરેસાના શિક્ષક અને અનેક ગ્રંથોના લેખક સૂફી અબુ હામીદ ગજાલીએ તૌહિદ(એકેશ્વરવાદ)ની સાથે તવક્કુલ (અનન્યશરણતા) અને કલ્બ(હૃદય)માંથી નીકળતી ખરી બંદગી (પ્રાર્થના) પર ખૂબ ભાર મૂક્યો. ત્યારબાદ સૂફીવાદ અન્ય સૂફીઓને હાથે જુદા જુદા સમયે ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં થઈ છેક ભારત સુધી વિકસ્યો. નવો સિદ્ધાન્ત કે સાધનામાર્ગ રજૂ કરનાર સૂફી-સંતના નામે તેના અલગ સંપ્રદાય અને તે જ સંપ્રદાયના ઘણા ઉપસંપ્રદાયો ખડા થતા ગયા. સર્વપ્રથમ સઘળા સૂફીઓ સિદ્ધાન્તના આધારે બુજૂદિયા અને શુહૂદિયા નામના બે પ્રમુખ સંપ્રદાયોમાં વહેંચાયા. મુહિઉદ્દીન ઇબ્નુલ અરબીએ બહદતુશ્શુબુજૂદનો સિદ્ધાન્ત રજૂ કર્યો. તેમાં હમાવુસ્ત એટલે તમામ ચીજો એકમાત્ર ખુદા છે, આખું જગત ખુદાની જ અભિવ્યક્તિ છે, ઇન્સાન ખુદાનો સિર્ર (ચેતન અંશ) છે, ઇન્સાન પોતાના મર્યાદિત જ્ઞાનથી સિર્રને પ્રગટ કરી શકે છે તેથી રૂહ (આત્મા) સત્ય છે, છતાં તે એકમાત્ર સત્ય નથી, ખુદા જ એકમાત્ર સત્ય છે એવી પાયાની વાતો રજૂ થઈ છે. બીજો સિદ્ધાન્ત બહદતુશ્શુહૂદ શેખ કરીમે જીલીએ રજૂ કર્યો. તે મુજબ સિર્રની સત્તા શૂન્ય જેવી છે, કારણ કે સિર્રને પોતાની સત્તા માટે ખુદાની સત્તાની અપેક્ષા રાખવી પડે છે. જગત ખુદાની ગુણાવલીનો સમૂહ છે. સિફ્ત (ખુદાના જુદા જુદા ગુણો) જાહેર (જાહિર = અભિવ્યક્ત) થાય એટલે તેમનાં નામો અપાય છે. એ બધાં નામો અરીસાની જેમ ખુદાનાં બધાં રહસ્યોને જાહેર કરે છે. જગતના પ્રત્યેક અણુમાં પોતાની પૂર્ણતા જાહેર કરે છે. જગતના સઘળા પદાર્થો બરફ જેવા છે અને ખુદા પાણીની જેમ મૂળ કારણ છે. અનહદ સુંદરતા અને વિભૂતિ ધરાવતો ખુદા જ્યારે પોતાની સુંદરતાનો અંશ જાહેર કરવા ઇચ્છે ત્યારે જગતની રચના થાય છે. તે જગતની રચના ખુદાની સુંદરતાને સમજવામાં મદદ કરે છે. આ બે સિદ્ધાન્તોને વિચારતાં તેના પર પ્રાચીન ભારતીય ઉપનિષદોની અસર પડી હોય તેમ જણાય છે. ભારતીય અસર સૂફીવાદ પર હોય કે ન હોય; પરંતુ અરબી સૂફીવાદની અસર ભારતમાં ઠેર ઠેર જણાય છે.

હાલ ભારતમાં સૂફીના ચાર મુખ્ય સંપ્રદાયો પ્રચલિત છે : ચિશ્તી, કાદિરી, સુહરાવર્દી અને નક્શબંદી. જ્યારે ઉપસંપ્રદાયોમાં નિઝામી, સાબિરી, બહતુલશાહી, નવશાહી, મુકીમશાહી, કૈસરશાહી, જલાલી, મખદૂમી, મીરનશાહી, દૌલાશાહી વગેરેનો સમાવેશ થાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં તો આથી વધુ સંપ્રદાયો પ્રચલિત છે. અનેક સૂફીસંતો કે પીરોએ સૂફીવાદના સિદ્ધાન્તોમાં ફાળો આપ્યો છે.

શ્રી ધર્મિષ્ઠા ગોહિલ અને શ્રી  પ્ર. ઉ. શાસ્ત્રી (ગુજરાતી વિશ્વકોષ માંથી સાદર)

અંતમાં જોઈએ “મેરા મુર્શીદ ખેલે હોરી” – સૂફી કથ્થક

સંગીત રચના શંકર અહેસાન રોય, ગાયકો મુનવર માસુમ. જાવેદ અલી અને શંકર મહાદેવન

ડો. શશી શૃંખલા અને તેની નૃત્ય શાળા ની પ્રસ્તુતિ


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.