ભગવાન થાવરાણી
વધુ એક અજાણ્યું નામ. તારિક કમર. ગયા હપ્તે વાત કરી તે તૈમૂર હસન અને આ તારિક સાહેબની ઉંમર અને લહેજાની તલ્ખી એકસરખી. ફરક એટલો કે એ પાકિસ્તાનના અને આ હિંદુસ્તાનના. ‘ નવી ગઝલમાં બિંબવિધાન ‘ વિષય ઉપર તારિક સાહેબે ડોક્ટરેટ હાંસલ કરી છે. વર્તમાન યુગની પરિસ્થિતિઓને એમની નજર કઈ રીતે મૂલવે છે, જૂઓ :
જો તખ્ત – ઓ – તાજ પે તનકીદ કરતે ફિરતે હૈં
વે સારે લોગ હૈં દરબાર સે નિકાલે હુએ ..
વિચારવાને વિવશ કરતું સત્ય ! જે સત્તામાંથી હાંકી કઢાયા છે એ જ સત્તાની ટીકા કરે છે !
એક વધુ સમકાલીન સત્ય :
કહતે હૈં ઝર્ફ કા સૌદા નહીં કરતે હમલોગ
કિસ કદર જૂટ સે સબ અહલ-એ-કલમ બોલતે હૈં
( ઝર્ફ = સામર્થ્ય, પાત્રતા અહલ-એ-કલમ = લખનારાઓ, લેખકો, પત્રકારો )
ફરીથી એક ચર્ચિત પરંતુ વિચારણીય વિધાન ! વધુ એક ગંભીર વાત :
ઈસ લહજે સે બાત નહીં બન પાએગી
તલવારોં સે કૈસે કાંટે નિકલેંગે ?
તલવારથી કાંટો કાઢવાની જહેમત લેનારને કોણ કહેશે કે કાંટો કાંટાથી જ નીકળશે !
ભારતીય તત્ત્વજ્ઞાનનો આ સિદ્ધાંત અને એની રજૂઆતની તારિક સાહેબની રીત જૂઓ :
જો ઝિમ્મેદારી મિલી હૈ જિસકો નિભા રહા હૈ
ન કોઈ પ્યાસા, ન કોઈ દરિયા, મૈં જાનતા હૂં
હવે આજનો મુખ્ય શેર :
બનામ-એ-દાદ-એ-સુખન યે જો શોર બરપા હૈ
ઈસે કલામ કા મેયાર મત બના લેના …
તમારી રચનાઓ પર મળનારી દાદનો જે આ ઘોંઘાટ છે એનાથી ચેતજો. તમારામાંથી અનેકને એ ખબર પણ નથી કે આ તાળીઓ શેની છે ! અગર ભૂલેચૂકે પણ આ તાળીઓ, આ ‘ વાહ ‘, આ ‘ લાઈક ‘ ને તમારા સર્જનનું માપદંડ બનાવ્યું તો પછી આજીવન એના માટે જ લખતા રહેશો, કશું સર્જશો નહીં.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
“””*તમારી રચનાઓ પર મળનારી દાદનો જે આ ઘોંઘાટ છે એનાથી ચેતજો. તમારામાંથી અનેકને એ ખબર પણ નથી કે આ તાળીઓ શેની છે ! અગર ભૂલેચૂકે પણ આ તાળીઓ, આ ‘ વાહ ‘, આ ‘ લાઈક ‘ ને તમારા સર્જનનું માપદંડ બનાવ્યું તો પછી આજીવન એના માટે જ લખતા રહેશો, કશું સર્જશો નહીં””””
*આ વાત તો આખા શેર કરતાંય ઉત્કૃષ્ટ છે*.
આપની અમૂલ્ય દાદ માટે આભારી છું બહેન !
ખૂબ સરસ શે’ર.
તારિક કમરને યુ-ટ્યુબ પર માણ્યા છે.
આભાર સુધીરભાઈ !