ભગવાન થાવરાણી
મીર, ઝૌક, ઝફર, ગાલિબ, દાગ, મોમિન, નઝીર, આતિશ અને અમીર મીનાઈ પછી આવો હવે મળીએ અલ્તાફ હુસૈન ‘ હાલી ‘ ને. (‘ હાલી ‘ એટલે સાંપ્રત, અર્વાચીન) કહે છે, હાલીએ કવિતા લખવાની શરુઆત ગાલિબના આગ્રહથી કરી, જોકે આ બન્ને વ્યક્તિત્વો એકબીજાથી તદ્દન વિપરીત હતાં. મજાની વાત એ પણ ખરી કે એ બન્નેને એકમેક પ્રત્યે ખૂબ જ માન હતું. હાલીએ ગાલિબનું જીવન-વૃત્તાંત પણ લખેલું ‘ યાદગારે ગાલિબ ‘ શીર્ષકથી. એમને ઉર્દૂ વિવેચનના પિતામહ કહેવામાં આવે છે. એમનો એક શેર જોઈને જાણીએ કે એ એમના બુઝુર્ગ શાયરો વિષે શું કહે છે :
‘ હાલી’ સુખન મેં ‘શેફ્તા’ સે મુસ્તફીદ હૈં
‘ગાલિબ ‘ કા મોતકિદ હૈ મુકલ્લિફ હૈ ‘મીર’ કા
(સુખન એટલે કવિતા, મુસ્તફીદ એટલે લાભાન્વિત, મોતકિદ એટલે અનુયાયી અને મુકલ્લિફ એટલે શિષ્ય)
હવે આ સત્ય અને એ કહેવાની હિંમત પણ જુઓ :
ફરિશ્તે સે બઢ કર હૈ ઈંસાન બનના
મગર ઈસ મેં લગતી હૈ મેહનત ઝિયાદા
અને આ વાતને ખુમારી કહો કે ગર્વ પરંતુ એમાં ગાલિબની છાંટ વર્તાય છે :
બહુત જી ખુશ હુઆ ‘ હાલી ‘ સે મિલ કર
અભી કુછ લોગ બાકી હૈં જહાં મેં ..
પરંતુ હદ આ શેરમાં છે :
ઈક દર્દ હો બસ આઠ પહર દિલ મેં કિ જિસ કો
તખ્ફીક દવા સે હો ન તસ્કીન દુઆ સે ..
(તખ્ફીક = કમી, તસ્કીન = સાંત્વના)
આ એક પ્રાર્થના, અરજ છે પોતાના ઈશ્વરને કે એવું એક દર્દ અમને આઠેય પ્રહર ભીતરે દઈ દે અને એ પણ એટલી માત્રામાં જેમાં કદી કોઈ કમી ન હોય અને જેનો કોઈ ઈલાજ પણ ન હોય ! ‘ કતીલ ‘ શિફાઈએ પણ આ જ દર્દ માંગેલું ‘ હાલી ‘ ના સો વર્ષ પછી :
દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ
ફિર ચાહે દીવાના કર દે યા અલ્લાહ !
આપણા પોતાના ‘ મરીઝ ‘ પણ એ જ કહે છે :
કાયમ જો રહી જાય તો પયગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે ..
અને આપને તો ખબર જ છે કે આવું દર્દ શા માટે માંગીને લેવામાં આવે છે …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
ઉમદા શાયર.
સુંદર રજુઆત.
આભાર કમલેશભાઈ !