– ભગવાન થાવરાણી
જેમને જૂના હિંદી ફિલ્મ સંગીતમાં ઊંડો રસ છે એમણે કિશોર કુમારે ગાયેલું આ ગીત જરુર સાંભળ્યું હશે :
મરને કી દુઆએં ક્યોં માંગું, જીને કી તમન્ના કૌન કરે
યે દુનિયા હો યા વો દુનિયા, અબ ખ્વાહિશે – દુનિયા કૌન કરે

૧૯૪૮ ની ફિલ્મ ‘ ઝિદ્દી ‘ માં દેવ આનંદ પર ફિલ્માવાયેલું આ ગીત, હિંદી ફિલ્મોમાં કિશોર કુમારે ગાયેલું પહેલું ગીત હતું. એ એક ગઝલ હતી અને એના રચનાકાર હતા મુઈન અહસાન ‘ જઝ્બી ‘. આ ગઝલના મારા પસંદીદા શેરની ચર્ચા કરીએ એ પહેલાં જઝ્બી વિષે થોડીક વાત. જઝ્બી સાચા અર્થમાં એક વિદ્વાન હતા અને અન્ય એક મહાન ઉર્દૂ શાયર અલ્તાફ હુસૈન ‘ હાલી ‘ ની રચનાધર્મિતા પર એમણે પી.એચ.ડી. કરેલું. એમની દ્રષ્ટિને ઉજાગર કરતો આ શેર જુઓ :
યહી ઝિંદગી મુસીબત યહી ઝિંદગી મસર્રત
યહી ઝિંદગી હકીકત યહી ઝિંદગી ફસાના
( કેટલું બધું સમાવ્યું છે પરવરદિગારે માત્ર આ એક જ જિંદગીમાં ! )
અને આ બેફિકરાઈ !
અલ્લાહ રે બેખુદી કિ ચલા જા રહા હું મૈં
મંઝિલ કો દેખતા હુઆ કુછ સોચતા હુઆ ..
( આ તે કેવી લાપરવાહી કે ચાલતાં – ચાલતાં નજર સામે જ ગંતવ્ય આવ્યું અને હું એને વટાવીને ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો ! )
હવે આજનો શેર. એ શેર, જેની શરુઆતમાં વાત કરી એ ગઝલનો જ હિસ્સો છે :
જબ કશ્તી સાબિત-ઓ-સાલિમ થી, સાહિલ કી તમન્ના કિસકો થી
અબ ઐસી શિકસ્તા કશ્તી પર, સાહિલ કી તમન્ના કૌન કરે ..
‘ જઝ્બી ‘ સાહેબને કિનારાની ખ્વાહેશ ત્યારે પણ નહોતી, અત્યારે પણ નથી. પણ કારણો અલગ-અલગ છે. ત્યારે એટલે કે યુવાનીમાં એ તમન્ના એટલા માટે નહોતી કે જીવન-નૈયા પુરબહારમાં હતી. એ સાબૂત અને અખંડિત હતી. મઝધાર એ જ નશો હતો. કિનારે પહોંચવાની તમા જ કોને હતી ? અને હવે ? હવે ઘડપણમાં એ જ નાવડી એટલી હદે જર્જર, ભંગૂર અને પરાસ્ત બની ચુકી છે કે કિનારે પહોંચીએ કે ન પહોંચીએ, કોઈ ફરક પડતો નથી ! એ મઝધારે જળસમાધિ લે એમાં જ ભલાઈ છે !
આ જ જમીન એટલે કે આ જ છંદ અને રદીફ સાથે આપણા શાયર ‘ સૈફ ‘ પાલનપુરીએ પણ એક ગઝલ રચેલી. અલબત, વિષય અલગ છે. એ ગઝલનો ઉપાડ :
‘ નિસબત છે અમોને ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.