અમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબેન પરીખ અગાઉ વે.ગુ.માં પગરણ કરી ચૂક્યાં છે. તેમની એક રચના કે જેનો ભાવ આતમ જાગૃતિનો છે, તે અત્રે પ્રસ્તૂત છે.
-દેવિકા ધ્રુવ
સંપાદક, પદ્ય સાહિત્ય વિભાગ, વેબ ગુર્જરી
એક વાર અજવાળું
સરયૂ પરીખ
અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે‘છે કે આમ જ જીવાય,
આથમેલાં તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.
ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.
ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!
સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.
અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.
જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
———-
સહન કરતી વ્યક્તિને અંતર જાગૃતિ આવે પછી ઘણી મદદ આવી મળે.
સરયૂ પરીખ – સંપર્કઃ saryuparikh@gmail.com